13 May, 2021 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
રાજ્યના તમામ પત્રકારો અને કૅમેરામેનને ફ્રન્ટલાઇન વર્કર જાહેર કરીને તેમને રસીકરણમાં પ્રાથમિકતા આપવાની માગણી કરતો પત્ર ગઈ કાલે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
દેવેન્દ્ર ફડણવીસે લખેલા પત્રમાં જણાવ્યું છે કે ‘દેશમાં ૧૨ રાજ્યોએ પત્રકારોને ફ્રન્ટલાઇન વર્કર જાહેર કર્યા છે. કમનસીબે મહારાષ્ટ્રમાં હજી સુધી આવો નિર્ણય લેવાયો નથી. પરમ દિવસે રાજ્યના પત્રકારોએ ઑનલાઇન માધ્યમથી સાંકેતિક આંદોલન પણ કર્યું હતું. અનેક પત્રકારો કોરોનાની પહેલી લહેરમાં અને બીજી લહેરમાં આ મહામારીમાં હોમાયા છે. આવી સ્થિતિમાં તેમની સુરક્ષાની કાળજી લેવાની આપણી જવાબદારી છે. તેમને ફ્રન્ટલાઇન વર્કર જાહેર કરાશે તો આપોઆપ તેમને રસીકરણમાં પણ પ્રાથમિકતા મળશે.’