ઍન્ટિ નાર્કોટિક્સ સેલના ઘાટકોપર યુનિટે 4.12 લાખનું કફ સિરપ પકડ્યું

29 November, 2020 10:43 AM IST  |  Mumbai | Mumbai Correspondent

ઍન્ટિ નાર્કોટિક્સ સેલના ઘાટકોપર યુનિટે 4.12 લાખનું કફ સિરપ પકડ્યું

પોલીસે આરોપી રાહુલ ગાયકવાડની ધરપકડ કરી છે.

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ઍન્ટિ નાર્કોટિક્સ સેલના ઘાટકોપર યુનિટના અધિકારીઓએ શુક્રવારે માનખુર્દના બૈંગનવાડી વિસ્તારમાંથી રૂપિયા ૪.૧૨ લાખની કોડિન (અફીણમાંથી બનતા) ફૉસ્ફૅટ કફ સિરપની ૨૦૫૩ બૉટલ સાથે એક ડ્રગ પેડલરને ઝડપી લીધો હતો. નશો કરનારા ગર્દુલ્લાઓમાં આ કફ સિરપની ભારે ડિમાન્ડ હોય છે.

ઍન્ટિ નાર્કોટિક્સ સેલના ઘાટકોપરના અધિકારીઓને ખબરીએ માહિતી આપી હતી કે કફ સિરપના મોટા જથ્થાની ડિલિવરી થવાની છે એથી માનખુર્દના શિવાજીનગરમાં આવેલી રમણમામા કૉલોની સામેની તૈયબા મસ્જિદ પાસે શુક્રવારે બપોરે ૧૨.૩૦થી ૧ વાગ્યા દરમ્યાન ડિલિવરી આપવા આવેલા ડ્રગ પેડલરને ઝડપી લઈ તેની તલાશી લેતાં તેમની પાસેથી એ કફ સિરપની બૉટલો મળી આવી હતી.

આ વિશે વધુ માહિતી આપતાં ક્રાઇમ બ્રાન્ચનાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર લતા સૂતારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ કફ સિરપમાં કોડિન વપરાય છે એથી મહારાષ્ટ્રમાં એના પર બંધી છે, પણ ગર્દુલ્લાઓ એનું સેવન કરતા હોય છે. એક બૉટલની એમઆરપી ૧૩૦ રૂપિયા છે, પણ એ સપ્લાયરને ૬૦થી ૭૦ રૂપિયામાં જ મળે છે જે ગર્દુલ્લાઓને ૨૫૦થી ૩૦૦ રૂપિયામાં વેચે છે. હાલમાં અમે જેને પકડ્યો છે એ મૂળ સપ્લાયર (ડ્રગ પેડલર)નો મૅનેજર રાહુલ ગાયકવાડ છે. એ પણ આ ધંધાની આંટીઘૂંટી જાણે છે. આ કેસમાં અમને વધુ લોકોની તલાશ છે.’

રાહુલ ગાયકવાડ સામે એનડીપીએસ એક્ટ અને આઇપીસીની અન્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

ghatkopar mumbai mumbai news Crime News mumbai crime news