20 January, 2022 08:06 AM IST | Mumbai | Prajakta Kasale
ફાઇલ તસવીર
કોરોનાના કેસ ઘટવા માડતાં શહેરનાં નિયંત્રણો ટૂંક સમયમાં હળવાં થઈ શકે છે અને સ્કૂલો આવતા અઠવાડિયે રિઓપન થઈ શકે છે. કેસનો આંક છેલ્લા કેટલાક દિવસથી ૧૦,૦૦૦ કરતાં નીચો હોવાથી વહીવટી તંત્ર નિયંત્રણો હળવાં કરવા માટે વિચારી રહ્યું છે.
આઠમી જાન્યુઆરીએ રાજ્ય સરકારે રાતના અગિયાર વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ લાગુ કર્યો હતો અને શહેરમાં કલમ ૧૪૪ લાગુ કરાતાં પાંચ કે એથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ મુકાયો હતો. લગભગ બે વર્ષ પછી પુનઃ ખૂલેલી સ્કૂલોને ૧૫ ફેબ્રુઆરી સુધી બંધ રાખવા જણાવાયું હતું.
છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક કેસ સતત ઘટી રહ્યા છે. કૉર્પોરેશનના મતે શહેરમાં સાતમી જાન્યુઆરીની આસપાસ ત્રીજી લહેર એની ચરમસીમાએ હતી.
જો શહેરમાં કોરોનાના કેસ ઘટવાની સ્થિતિ ચાલુ રહી તો અમે સરકાર દ્વારા લાગુ કરાયેલાં નિયંત્રણો સહિતના કેટલાક નિયમો હળવા કરવાની વિચારણા કરીશું, એમ બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલે જણાવ્યું હતું.
મુંબઈ સબર્બનના ગાર્ડિયન પ્રધાન આદિત્ય ઠાકરેએ પણ ટ્વીટ કરી હતી, ‘હવે કેસ સતત ઘટી રહ્યા છે ત્યારે ગઈ કાલે સવારે (બુધવારે) કૉર્પોરેશન અને રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સના નિષ્ણાતો સાથેની સમીક્ષા બેઠકમાં અમે ૧૫થી ૧૮ વર્ષના ટીનેજર્સ માટે રસીકરણના દરજ્જા તથા શક્ય એટલી વહેલી તકે શૈક્ષણિક સંસ્થાઓ પુનઃ શરૂ કરવા માટેની અમારી સજ્જતાની સમીક્ષા કરી હતી.’