પંઢરપુરમાં ભગવાન વિઠ્ઠલની મૂર્તિ પર કેમિકલ કોટિંગ કરવા પર કોર્ટનો સ્ટે

24 June, 2026 07:45 AM IST  |  Solapur | Gujarati Mid-day Correspondent

વહીવટી સમિતિ માત્ર એક કસ્ટોડિયન તરીકે કામ કરે છે, એ ભક્તોની લાગણી ધ્યાનમાં રાખ્યા વગર નિર્ણય ન લઈ શકે એવી કોર્ટની ઝાટકણી

વિઠ્ઠલની મૂર્તિ

મહારાષ્ટ્રની સોલાપુર કોર્ટે પંઢરપુર મંદિર સમિતિને ભગવાન વિઠ્ઠલની મૂર્તિ પર કેમિકલ પ્રોટેક્ટિવ કોટિંગ લગાવતાં અટકાવતો વચગાળાનો સ્ટે આપ્યો છે. ભક્તોની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને કોર્ટે આ નિર્ણય આપ્યો છે. મહારાષ્ટ્ર મંદિર મહાસંઘ અને વારકરી જૂથો દ્વારા શ્રી વિઠ્ઠલ રુક્મિણી મંદિર સમિતિ સામે દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટે આ વચગાળાનો આદેશ આપ્યો હતો. મંદિર સમિતિ દ્વારા મંગળવારે અને બુધવારે મૂર્તિ પર આ કોટિંગનું કામ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અરજીકર્તાઓએ દલીલ કરી હતી કે મૂર્તિને વૉટરપ્રૂફ પ્લાસ્ટિક જેવું ફિનિશિંગ અને મજબૂતાઈ આપે એવા ઇપોક્સી રેઝિન જેવાં આધુનિક રસાયણોનો ઉપયોગ કરવો એ શાસ્ત્રોની વિરુદ્ધ છે અને એનાથી પ્રાચીન મૂર્તિ અપવિત્ર થાય છે, એના બદલે પરંપરાગત અને કુદરતી વજ્રલેપ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. બીજી તરફ મંદિર સમિતિએ બચાવ કરતાં કહ્યું હતું કે જુલાઈમાં આવતી અષાઢી એકાદશીની યાત્રા પૂર્વે મૂર્તિનો ઘસારો અટકાવવા માટે પુરાતત્ત્વ વિભાગ દ્વારા આ ભલામણ કરવામાં આવી હતી. કોર્ટે મંદિર સમિતિની દલીલોને ફગાવી દેતાં સ્પષ્ટ કર્યું કે ‘વહીવટી સમિતિ માત્ર એક કસ્ટોડિયન તરીકે કામ કરે છે, તેઓ મૂર્તિ પર માલિકીનો દાવો કરી શકે નહીં. મૂર્તિ તમામ ભક્તોની છે, એથી મૂર્તિને અસર કરતું કોઈ પણ કાર્ય ભક્તોની ચિંતાનો વિષય છે.’ 
કેસનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી આ પ્રક્રિયા પર રોક લગાવવામાં આવી છે. 

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra solapur pandharpur religious places