05 May, 2020 11:39 AM IST | Govandi | Gaurav Sarkar
ગોવંડીની પંચશીલ ચાલમાં રહેતી ૫૫ વર્ષની મહિલાનું રવિવારે સાંજે કોરોનાને કારણે મોત થયા બાદ તેની સાથે સંપર્કમાં આવેલા ૮ જણને પણ કોરોનાનો સંસર્ગ થયો છે અને એ બધાને જ માહુલના ક્વૉરન્ટીન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. એટલું જ નહીં એ ૮ દરદી હાઈ રિસ્ક દરદી હોવાનું જણાવાયું છે.
આ આઠ દરદીઓને શનિ-રવિ દરમ્યાન માહુલના ક્વૉરન્ટીન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા, પણ એ પછી એ તમામનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવતા તેમને શિવાજીનગરના ક્વૉરન્ટીન સેન્ટરમાં ખસેડાયા છે. રવિવારે સાંજે ૬ વાગ્યે અમારા રિપોર્ટ આવ્યા હતા ત્યાં સુધી અમે માહુલમાં જ હતા એમ એક દરદીએ જણાવ્યું હતું.
એ આઠ દરદીમાંના એક દરદીએ કહ્યું હતું કે ‘અમને બધાને હાઈ રિસ્ક પેશન્ટ ગણવામાં આવ્યા છે. માહુલના ક્વૉરન્ટીન સેન્ટર કરતાં આ સેન્ટર સારું છે, ત્યાં તો અમને ખાવામાં માત્ર વડા-પાઉં જ આપતા હતા અને પાણીની પણ સમસ્યા હતી. અહીં ડૉક્ટરોએ અમને શું થાય છે, કોરોનાનાં લક્ષણો વિશે પૂછ્યું પણ હતું, પણ અમારામાંથી કોઈને હાઈ ફિવર નથી. અમને અહીં રૂમ ફાળવવામાં આવી છે અને એક રૂમમાં બે જણને રાખવામાં આવ્યા છે.’
ગયા અઠવાડિયે પંચશીલ ચાલમાં રહેતી એ મહિલાના સંપર્કમાં આવેલા અન્ય ૬ જણાએ પાલિકા દ્વારા ગોઠવવામાં આવેલી હાઈ ફિવર માટેના કૅમ્પમાં ટેસ્ટ કરાવી હતી જેમાંથી ૪ જણને કોરોના થયો હોવાનું જણાઈ આવ્યું હતું.