16 May, 2021 09:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર
મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે મહારાષ્ટ્રમાં આવતા ટ્રાન્સપોર્ટના ડ્રાઇવરો, ક્લીનરો અને હેલ્પરોને મહારાષ્ટ્રમાં પ્રવેશ સમયે હવે આરટી-પીસીઆર રિપોર્ટની જરૂર નથી એવી જાહેરાત કરી હતી. જોકે એ લોકો તેમની આરોગ્ય સેતુ ઍપમાં સુરક્ષિત હોવા જોઈએ. નહીંતર તેમને કોવિડ કૅર સેન્ટરમાં મોકલી આપવામાં આવશે. સરકારના આ આદેશથી ટ્રાન્સપોર્ટરોએ બહુ મોટી રાહત અનુભવી હતી.
આ પહેલાં સરકાર દ્વારા એક નોટિફિકેશન પ્રસિદ્ધ કરીને જણાવાયું હતું કે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરતાં પહેલાં ટ્રાન્સપોર્ટના ડ્રાઇવરો, ક્લીનરો અને હેલ્પરોનો ૪૮ કલાક પહેલાંનો આરટી-પીસીઆર રિપોર્ટ જરૂરી છે, જે સાત દિવસ સુધી ચાલશે. આ નોટિફિકેશનનો ટ્રાન્સપોર્ટરો તરફથી સખત વિરોધ કરવામાં આવ્યા હતો. એને પગલે ગઈ કાલે મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી સીતારામ કુંતેએ બ્રેક ધ ચેઇનને અંતર્ગત નવી માર્ગદર્શિકામાં કહ્યું હતું કે ‘લાંબા અંતરથી રાજ્યમાં આવતા ટ્રાન્સપોર્ટ/કાર્ગો કૅરિયર્સ પ્રવેશ કરશે ત્યારે એના ડ્રાઇવરો, ક્લીનરો અને હેલ્પરોનું પ્રવેશ સમયે ટેમ્પરેચર ચેક કરવામાં આવશે. એની સાથે એ લોકોની આરોગ્ય સેતુ ઍપ પર કોવિડનાં બીજાં કોઈ લક્ષણો ન હોવાં જોઈએ. તો જ એ કાર્ગો મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી શકે છે. આરોગ્ય સેતુ કે ટેમ્પરેચરમાં જે વ્યક્તિ સુરક્ષિત ન હોય તેણે રાજ્યમાં કોવિડ કૅર સેન્ટરમાં કોવિડના બીજા ચેક-અપ માટે ભરતી થવું પડશે.’
સરકારના આ નિર્ણયને આવકાર આપતાં બૉમ્બે ગુડ્સ ટ્રાન્સપોર્ટ અસોસિએશનના કમિટી મેમ્બર જિતેન્દ્ર પરીખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારનો આગલો આદેશ વ્યવહારુ નહોતો એટલે અમે એનો વિરોધ કર્યો હતો. જોકે ગઈ કાલના સરકારના આદેશથી ટ્રાન્સપોર્ટરો, તેમના ડ્રાઇવરો અને ક્લીનરોને બહુ મોટી રાહત મળી છે.’