ટ્રાન્સપોર્ટરોને રાહત : મહારાષ્ટ્રમાં આવતી વખતે આરટી-પીસીઆર રિપોર્ટ જરૂરી નથી

16 May, 2021 09:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે આરોગ્ય સેતુ ઍપમાં ‘સેફ’ સ્ટેટસ નહીં હોય તો તેમને કોવિડ કૅર સેન્ટરમાં મોકલવામાં આવશે

ફાઈલ તસવીર

મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે મહારાષ્ટ્રમાં આવતા ટ્રાન્સપોર્ટના ડ્રાઇવરો, ક્લીનરો અને હેલ્પરોને મહારાષ્ટ્રમાં પ્રવેશ સમયે હવે આરટી-પીસીઆર રિપોર્ટની જરૂર નથી એવી જાહેરાત કરી હતી. જોકે એ લોકો તેમની આરોગ્ય સેતુ ઍપમાં સુરક્ષિત હોવા જોઈએ. નહીંતર તેમને કોવિડ કૅર સેન્ટરમાં મોકલી આપવામાં આવશે. સરકારના આ આદેશથી ટ્રાન્સપોર્ટરોએ બહુ મોટી રાહત અનુભવી હતી. 

આ પહેલાં સરકાર દ્વારા એક નોટિફિકેશન પ્રસિદ્ધ કરીને જણાવાયું હતું કે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરતાં પહેલાં ટ્રાન્સપોર્ટના ડ્રાઇવરો, ક્લીનરો અને હેલ્પરોનો ૪૮ કલાક પહેલાંનો આરટી-પીસીઆર‌ રિપોર્ટ જરૂરી છે, જે સાત દિવસ સુધી ચાલશે. આ નોટિફિકેશનનો ટ્રાન્સપોર્ટરો તરફથી સખત વિરોધ કરવામાં આવ્યા હતો. એને પગલે ગઈ કાલે મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી સીતારામ કુંતેએ બ્રેક ધ ચેઇનને અંતર્ગત નવી માર્ગદર્શિકામાં કહ્યું હતું કે ‘લાંબા અંતરથી રાજ્યમાં આવતા ટ્રાન્સપોર્ટ/કાર્ગો કૅરિયર્સ પ્રવેશ કરશે ત્યારે એના ડ્રાઇવરો, ક્લીનરો અને હેલ્પરોનું પ્રવેશ સમયે ટેમ્પરેચર ચેક કરવામાં આવશે. એની સાથે એ લોકોની આરોગ્ય સેતુ ઍપ પર કોવિડનાં બીજાં કોઈ લક્ષણો ન હોવાં જોઈએ. તો જ એ કાર્ગો મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી શકે છે. આરોગ્ય સેતુ કે ટેમ્પરેચરમાં જે વ્યક્તિ સુરક્ષિત ન હોય તેણે રાજ્યમાં કોવિડ કૅર સેન્ટરમાં કોવિડના બીજા ચેક-અપ માટે ભરતી થવું પડશે.’   

સરકારના આ નિર્ણયને આવકાર આપતાં બૉમ્બે ગુડ્સ ટ્રાન્સપોર્ટ અસોસિએશનના કમિટી મેમ્બર જિતેન્દ્ર પરીખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારનો આગલો આદેશ વ્યવહારુ નહોતો એટલે અમે એનો વિરોધ કર્યો હતો. જોકે ગઈ કાલના સરકારના આદેશથી ટ્રાન્સપોર્ટરો, તેમના ડ્રાઇવરો અને ક્લીનરોને બહુ‌ મોટી રાહત મળી છે.’ 

mumbai mumbai news coronavirus covid19 lockdown maharashtra