11 May, 2020 07:25 AM IST | Mumbai | Agencies
પ્રતીકાત્મક તસવીર
ભારતીય રેલવે એની પૅસેન્જર ટ્રેનો ૧૨ મેથી શરૂ કરી રહી છે. જોકે શરૂઆતમાં ૧૫ ટ્રેનો (ટુ ઍન્ડ ફ્રો) ચાલુ કરશે એમ આજે ભારતીય રેલે જણાવ્યું છે.
આ ટ્રેનો સ્પેશ્યલ ટ્રેન તરીકે દોડશે જે દિલ્હીથી શરૂ થશે અને દિબ્રૂગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બૅન્ગલોર, ચેન્નઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ-તવી જશે. ત્યાર બાદ બીજા તબક્કામાં નવા રૂટ પર બીજી ટ્રેનો દોડાવવા બાબતે નિર્ણય લેવામાં આવશે. ઉપરોક્ત ૧૦ ટ્રેનોનું બુકિંગ ૧૧ મેએ સાંજે ૪ વાગ્યે ખૂલશે. આઇઆરસીટીસીની સાઇટ પરથી એ માટે ટિકિટ બુક કરાવી શકાશે. કાઉન્ટર પરથી ટિકિટ મળશે નહીં. ટિકિટ કાઉન્ટર્સ બંધ જ રહેશે. જેમની પાસે કન્ફર્મ ટિકિટ હશે તેમને જ સ્ટેશનમાં એન્ટ્રી મળશે અને એ પૅસેન્જરોએ પણ માસ્ક પહેરવા ફરજિયાત રહેશે. દરેક પૅસેન્જરનું સ્ક્રીનિંગ થશે અને જે સ્વસ્થ જણાશે તેમને જ પ્રવાસની પરવાનગી અપાશે.
હાલમાં રેલવેએ ૨૦,૦૦૦ કોચ કોરોનાના દરદીઓ માટે ફાળવ્યા છે. એ ઉપરાંત રોજની ૩૦૦ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો દેશમાં વિવિધ જગ્યાએ ફસેલા મજૂરોને તેમના વતન પહોંચાડવા માટે દોડાવાઈ રહી છે.