12 May, 2021 08:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ગઈ કાલે સતત બીજા દિવસે કોરોનાના ૧૮૦૦થી ઓછા કેસ નોંધાવાની સામે વધુ દરદીઓ ઠીક થઈને ઘરે ગયા હતા. ગઈ કાલે મુંબઈમાં નવા ૧૭૧૭ કોરોના પૉઝીટીવ કેસ નોંધાવાની સામે ૬૦૮૨ લોકો રિકવર થયા હતા. રિકવરીની ટકાવારી પણ સોમવારના ૭.૭૭ ટકાની સામે સુધરીને ૬.૦૭ ટકા રહી હતી, જેના પરથી કહી શકાય કે મુંબઈમાં કોરોના વાઇરસ ધીમે ધીમે કરીને લોકો પર ઓછી અસર કરી રહ્યો છે.
મુંબઈમાં ગઈ કાલે ૨૮૨૫૮ લોકોની કોરોના ટેસ્ટ કરાઈ હતી, એમાંથી માત્ર ૧૭૧૭ લોકો પોઝીટીવ આવ્યા હતા. આ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો ૬૭૯૯૮૬ થવાની સાથે ૬૨૩૦૮૦ લોકો રીકવર થયા હતા. ગઈ કાલે ૫૧ લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યાંક ૧૩૯૪૨ થયો હતો.
એકાવનમાંથી ૨૫ સિનિયર સિટીઝનોએ કોરોનામાં જીવ ગુમાવ્યો હતો. જો કે રીકવરીની ટકાવારી ૯૨ થઈ છે. મુંબઈમાં ગયા અઠવાડિયાથી નવા કેસમાં ઘટાડો થવાની શરૂઆત બાદથી શહેરમાં સીલ કરાયેલી બિલ્ડિંગોની સંખ્યા પણ ઘટી છે, ગઈ કાલે આવી ઈમારતોનો આંકડો પાંચસોથી નીચે એટલે કે ૪૭૯ રહ્યો હતો.
મહારાષ્ટ્રમાં પણ ગઈ કાલે ૪૦,૯૫૬ નવા કેસ નોંધાવાની સામે ૭૧,૯૬૬ દરદીઓ રીકવર થયા હતા, આ આંકડો છેલ્લા કેટલાંક દિવસોમાં સૌથી મોટો છે.