22 July, 2021 09:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કોરોનાનો ઓવરઑલ ગ્રોથ રેટ જે પહેલાં ૦.૦૭ ટકા હતો એ હવે ઘટીને ૦.૦૬ ટકા થઈ ગયો છે. ૧૪ જુલાઈથી લઈને ૨૦ જુલાઈ દરમ્યાન કોરોનાનો ઓવરઑલ ગ્રોથ રેટ ૦.૦૬ ટકા આવ્યો છે. ગઈ કાલે મુંબઈમાં કોરોનાની ૨૯,૨૩૦ ટેસ્ટ કરાઈ હતી. એમાં ૪૩૫ વ્યક્તિનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. એ સાથે જ મુંબઈમાં કોરોના પૉઝિટિવ કેસની સંખ્યા ૭,૨૩,૩૪૯ ઉપર પહોંચી હતી. સામા પક્ષે ૫૬૦ દરદીઓ સાજા થતાં અત્યાર સુધી સાજા થનારા દરદીઓનો આંકડો ૭,૦૮,૨૧૪ ઉપર પહોંચ્યો છે.
ગઈ કાલે મુંબઈમાં કોરોનાના કારણે ૧૩ જણનાં મૃત્યુ થયાં હતાં. એમાંથી પાંચ દરદીઓને આ પહેલાંથી જ કોઈ ને કોઈ બીમારી હતી. મૃતકોમાં પાંચ પુરુષો હતા, જ્યારે ૮ મહિલાઓ હતી. ૮ મૃતકોની ઉંમર ૬૦ વર્ષ કરતાં વધુની હતી, જ્યારે ૪ મૃતકો ૪૦થી ૬૦ની ઉંમરના હતા. એક દરદીની ઉંમર ૪૦ વર્ષ કરતાં ઓછી હતી. મુંબઈમાં કોરોનાનો ડબલિંગ રેટ ગઈ કાલે ૧૦૯૭ દિવસ પર પહોંચ્યો હતો.
મુંબઈમાં કોરોનાને કારણે ઍક્ટિવ કન્ટેનમેન્ટ ઝોન ધરાવતી ચાલીઓ અને ઝૂંપડપટ્ટીની સંખ્યા ગઈ કાલે ૬ રહી હતી. એ સામે કોરોનાને કારણે સીલ કરાયેલી ઇમારતોની સંખ્યા ૬૧ હતી. ગઈ કાલે ૩૬૭૩ કોરોના હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ શોધી કાઢવામાં આવ્યા હતા, જેમાંથી ૮૨૮ને કોરોના કૅર સેન્ટરમાં સારવાર માટે મોકલી અપાયા હતા.