24 June, 2021 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જિતેન્દ્ર આવ્હાડ, ઉદ્ધવ ઠાકરે
તાતાના કૅન્સરના દરદીઓને મ્હાડાના ૧૦૦ ફ્લૅટ આપવાના નિર્ણયનો સ્થાનિક રહેવાસીઓએ વિરોધ કર્યા બાદ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ નિર્ણયને સ્થગિત કર્યો હતો. આથી હવે કૅન્સરના દરદીઓના સંબંધીઓને બૉમ્બે ડાઇંગમાં ઘર અપાશે એવી જાહેરાત જિતેન્દ્ર આવ્હાડે કરી હતી. તેમણે આ સમયે એમ પણ કહ્યું હતું કે હું કોઈ પણ કામ મંજૂરી મેળવ્યા નથી કરતો.
કૅન્સરની સારવાર માટે દેશભરમાંથી દરદીઓ અહીંની તાતા મેમોરિયલ હૉસ્પિટલમાં આવે છે. મુંબઈમાં દરદીને સારવાર મળે છે, પરંતુ તેમની સાથે આવનારા સંબંધીઓને રહેવાની જગ્યા નથી મળતી. આ સમસ્યા બાબતે રજૂઆત કરાયા બાદ કેટલાક દિવસ પહેલાં રાજ્યના ગૃહનિર્માણપ્રધાન જિતેન્દ્ર આવ્હાડે તાતા કૅન્સર હૉસ્પિટલને મ્હાડાના ૧૦૦ ફ્લૅટ આપવાનો નિર્ણય લીધો હતો. જોકે સ્થાનિક રહેવાસીઓએ આનો જોરદાર વિરોધ કરતાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નિર્ણયને સ્થગિત કર્યો હતો.
જિતેન્દ્ર આવ્હાડે ગઈ કાલે કહ્યું હતું કે ‘તેમણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની સંમતિથી તાતા કૅન્સર હૉસ્પિટલના દરદીઓના સંબંધીઓ માટે મ્હાડામાં ૧૦૦ ફ્લૅટ ફાળવવાનો નિર્ણય લીધો હતો. જોકે સ્થાનિક રહેવાસીઓએ આનો વિરોધ કર્યો છે. આથી મુખ્ય પ્રધાને પ્રધાનમંડળની બેઠક શરૂ થાય એ પહેલાં જગ્યા શોધવાનું કહ્યું હોવાથી હવે બૉમ્બે ડાંઇંગમાં આ જગ્યા આપવામાં આવી છે.’