26 June, 2025 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ રેલવેમાં ટિકિટ વિના ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતા ૯૮૪ મુસાફરો ઝડપાયા હતા, જેમની પાસેથી કુલ ૩.૧૮ લાખ રૂપિયા દંડપેટે વસૂલ કરવામાં આવ્યા હતા.
૮ દિવસ માટે શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત સેન્ટ્રલ રેલવેનો ખાસ કરીને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં વગર ટિકિટે મુસાફરી કરતા લોકોને પકડવાનો ટાર્ગેટ હતો. ૧૬ જૂનથી ૮ દિવસ સુધી સેન્ટ્રલ લાઇન, હાર્બર લાઇન અને ટ્રાન્સ-હાર્બર લાઇનની ટ્રેનોમાં ખાસ કરીને પીક અવર્સમાં ચેકિંગ સખત બનાવવામાં આવ્યું હતું. ૪૧ ટિકિટચેકર્સ અને ૭ રેલવે પોલીસે મળીને ૧૦૩ ટ્રેનોમાં તપાસ કરી હતી. એમાં યોગ્ય ટિકિટ અને પાસ વગર ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતા ૯૮૪ મુસાફરો પકડાયા હતા.
અનેક મુસાફરોની ફરિયાદ હતી કે ફર્સ્ટ ક્લાસમાં ગેરકાયદે રીતે ઘૂસી જતા મુસાફરોને કારણે જેમને ફર્સ્ટ ક્લાસની મોંઘી ટિકિટ લીધી હોય એવા મુસાફરોને મુશ્કેલી થાય છે. તેથી સેન્ટ્રલ રેલવેએ આ સ્પેશ્યલ અભિયાન હાથ ધર્યું હતું. સેન્ટ્રલ રેલવેએ નોંધ્યું હતું કે આ અભિયાનને કારણે ફર્સ્ટ ક્લાસના મુસાફરોની ફરિયાદો ઓછી થઈ છે અને ટિકિટના વેચાણમાં ૧૦ ટકાનો વધારો પણ નોંધાયો છે.