હેરિટેજની જાળવણીમાં મુંબઈએ માર્યું મીર

28 November, 2022 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુનેસ્કોનો સર્વોચ્ચ એક્સલન્સ અવૉર્ડ છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલયને અને ૨૦૨૨નો મેરિટ અવૉર્ડ ભાયખલા સ્ટેશનને મળ્યો

ભાયખલા સ્ટેશન

યુનેસ્કોના બૅન્ગકૉકમાં યોજાયેલા એશિયા સ્પેસિફિક એવૉર્ડ્સ ફોર કલ્ચરલ હેરિટેજ કન્ઝર્વેશન ૨૦૨૨ના ફંક્શનમાં શનિવારે અફઘાનિસ્તાન, ચીન, ભારત, ઈરાન, નેપાળ અને થાઇલૅન્ડ એમ કુલ છ દેશના ૧૩ હેરિટેજ પ્રોજેક્ટમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય (જૂનું નામ પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ)ને સર્વોચ્ચ એક્સલન્સ અવૉર્ડ આપવામાં આવ્યો હતો. હાલ જ્યારે મ્યુઝિયમનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે ત્યારે જ મળેલા આ અવૉર્ડને કારણે મુંબઈની યશકલગીમાં એક વધારાનું પીછું ઉમેરાયું છે.

અવૉર્ડ એનાયત કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે આ મુંબઈ માટે એક બહુ જ મહત્ત્વનો પ્રોજેક્ટ હતો. એ મ્યુઝિયમની જાળવણી માટે આર્કિટેક્ચરલ અને એન્જિયરિંગનો સમન્વય કરી એના ઉપાય યોજી બહુ જ સારી રીતે એનું જતન કરવામાં આવ્યું છે અને ભારતમાં જ નહીં, પણ વિશ્વના અન્ય દેશોમાં પણ એનું ઉદાહરણ આપી શકાય એવું કામ કરવામાં આવ્યું છે.  

મૂળમાં જ્યુરીએ ૧૧ દેશોની ૫૦ એન્ટ્રીમાંથી ૬ દેશોના ૧૩ પ્રોજેક્ટ ​સિલેક્ટ કર્યા હતા અને એમાંથી મુંબઈના મ્યુઝિયમનો પહેલો નંબર આવ્યો છે.

આ સિવાય મુંબઈ અને થાણે વચ્ચે શરૂ થયેલી ભારતની પહેલી ટ્રેન ભાયખલા સ્ટેશન પર થોભી હતી. ૧૮૫૩માં બનેલા ભાયખલા સ્ટેશનને એના ગોથિક હેરિટેજ સ્ટ્રક્ચરની જાળવણી કરી સાચવી રાખવા બદલ યુનેસ્કોનો એશિયા સ્પેસિફિકનો ૨૦૨૨નો મેરિટ અવૉર્ડ એનાયત કરાયો છે.

સેન્ટ્રલ રેલવેની દોરવણી હેઠળ આભા નારાયણ લાંબા અસોસિએટ્સને એની ગોથિક સ્ટાઇલમાં બનેલા હેરિટેજ બાંધકામની જાળવણી અને રીસ્ટોરેશનનું કામ સોંપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે એ રીસ્ટોરેશન કોવિડના લૉકડાઉનના સમયે હાથ ધરાયું હતું. એ વખતે ઘણાબધા મજૂરો જે અન્ય રાજ્યોમાંથી અહીં રોજી-રોટી માટે આવ્યા હતા એ વતન જવા માગતા હતા, પણ જઈ શક્યા નહોતા એ મજૂરો ભાયખલા સ્ટેશન અને એની આસપાસના પરિસરમાં રહેતા હતા. એ મજૂરોને કામ પર લગાડી આ રીસ્ટોરેશન કરવામાં આવ્યું હતું. એ કામ અંતર્ગત બેસૉલ્ટના પત્થરોના મૂળ બાંધકામ પર જે કૉ​ન્ક્રીટ અને પેઇન્ટ્સ ચડી ગયાં હતાં એને બહુ જ કાળજીપૂર્વક હટાવવામા આવ્યાં હતાં અને જાજારમાન પત્થરનું એ મૂળ સ્ટ્રક્ચર ફરી દૃ​​​​ષ્ટિગોચર થયું હતું. આ કામકાજ વખતે એ વખતે માહિતી આપવા માટે બનાવાયેલી સાઇનેજ બ્રૅકેટની ડિઝાઇન મળી આવી હતી. એ સિવાય જે કઠેડાની ગ્રિલ છે એને પણ હવે પહેલાં જેવો જ ઓરિજિનલ કલર અને પેઇન્ટ કરાયો હતો એ જ રંગે રંગવામાં આવી છે. એ સિવાય ટિકિટબારી અને સ્ટેશનમાસ્ટર અને અન્યોની કૅબિનના દરવાજા પર જે મોટા સાગનાં લાકડાંની ફ્રેમ બનાવાઈ હતી એને પણ રીસ્ટોર કરાઈ છે.  

mumbai mumbai news byculla