16 February, 2021 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મકલ તસવીર
બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ તરફથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. યુવા કલાકાર સંદીપ નાહરે આત્મહત્યા કરી છે. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે. આ પગલું ભરતા પહેલા સંદીપે સોશિયલ મીડિયા પર એક વીડિયો અને સુસાઇડ નોટ પોસ્ટ કરી હતી, જેમાં તેણે સમસ્યાઓના કારણે પોતાની હત્યા કરવાની વાત કહીં હતી. આ કથિત સુસાઈડ નોટમાં નાહરે કહ્યું કે આ પગલું ભરવા માટે પરિવારને જવાબદાર ન ગણાવશો.
મુંબઈ પોલીસ દ્વારા એએનઆઈએ સમાચાર આપ્યા હતા કે નાહરનું નિધન મુંબઈના ગોરેગામ વિસ્તારમાં આવેલા તેમના નિવાસ સ્થાને સુસાઈડના લીધે થયું છે. પોલીસે ગુનો નોંધી તેની તપાસ શરૂ કરી દીધી છે. જણાવી દઈએ કે નાહરે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક ફિલ્મ એમએસ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરીમાં સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કર્યું હતું. તેમ જ અક્ષય કુમાર સાથે તે કેસરી ફિલ્મમાં કામ કરી ચૂક્યા હતા.
સંદીપ નાહરના ફૅસબુક અકાઉન્ટ પર થોડા કલાકો પહેલા એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે અને તેની સાથે રોમન હિન્દીમાં લખેલી લાંબી નોટ પણ છે. નોટમાં લખ્યું છે - હવે જીવવાની ઇચ્છા નથી થઈ રહી. જીવનમાં ઘણા સુખ અને દુ:ખ જોયા. દરેક સમસ્યાનો સામનો કરવો પડ્યો, પરંતુ આજે હું આઘાતથી પસાર થઈ રહ્યો છું, તે સહનશીલતાની બહાર છે. હું જાણું છું, સુસાઈડ કરવું એ કાયરતા છે. મારે પણ જીવવું હતું, પણ આવી રીતે જીવવાનો શું અર્થ છે, જ્યાં શાંતિ અને સેલ્ફ રિસ્પેક્ટ ન હોય. આ નોટમાં સંદીપે પોતાના અંગત જીવનની મુશ્કેલીઓને પણ ઉલ્લેખ કર્યો છે.
સંદીપના ફૅસબુક અકાઉન્ટ પર લખેલી સુસાઈડ નોટ દર્શાવે છે કે તેમણે મુંબઈમાં ઘણા વર્ષો સુધી લાંબો સંઘર્ષ કર્યો, પરંતુ હાર માની ન હતી. સંદીપે લખ્યું કે હું ઘણા વર્ષોથી મુંબઈમાં છું. ખૂબ ખરાબ સમય પણ જોયો છે, પણ ક્યારે પણ તૂટ્યો નથી, તે બાઉન્સર રહ્યો, તેણે ડબિંગ કર્યું. જિમ ટ્રેનર રહ્યો. એક રૂમ કિચનમાં 6 લોકો રહેતા હતા અને સ્ટ્રગલ કર્યું હતું, પરંતુ શાંતિ હતી. આજે મેં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. સંદીપનો પૂર્ણ વીડિયો તમે નીચે સાંભળી શકો છો. તેની પૂરી પોસ્ટ ફૅસબુક અકાઉન્ટ પર વાંચી શકાય છે. મુંબઈ પોલીસ આગળની કાર્યવાહી કરવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.