05 February, 2020 07:44 AM IST | Mumbai | Chetna Sadadekar
આદિત્ય ઠાકરે
મહારાષ્ટ્રના પર્યટન ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરેની એક નજર મુંબઈ મહાનગરપાલિકા પર પણ રહેશે, કારણ કે ૨૦૨૦-’૨૧ના બજેટમાં મુંબઈ મહાનગરપાલિકામાં પર્યટન માટે અલગ વિભાગ શરૂ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. પાલિકાના બજેટમાં જણાવવામાં આવ્યું છે કે બાહ્ય નિષ્ણાતો અને ટ્રાવેલ એજન્ટ્સના એક્રિડિશન દ્વારા પર્યટનની પ્રવૃત્તિઓ વધારવામાં આવશે, કારણ કે પર્યટનની પ્રવૃત્તિ મુંબઈ મહાનગરપાલિકા માટે અનિવાર્ય કે બંધનકર્તા નથી.
પર્યટન વિભાગના આરંભ માટે મુંબઈ મહાનગરપાલિકાએ શહેરને પાણીપુરવઠો પૂરો પાડતાં સરોવરો તાનસા, વૈતરણા અને મોડક સાગરની આસપાસ ઇકો ટૂરિઝમ શરૂ કરવાની વિચારણા કરી છે. એ સ્થળોએ મુંબઈ મહાનગરપાલિકાનાં ગેસ્ટ હાઉસિસના પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ મેઇન્ટેનન્સ, મૅનેજમેન્ટ અને અપગ્રેડેશન માટે હૉસ્પિટલિટી પાર્ટનર્સને સોંપવામાં આવશે. હૉસ્પિટલિટી પાર્ટનર્સ સાઇક્લિંગ ટૂર્સ, પ્રાકૃતિક સમૃદ્ધિનાં સ્થળોની સહેલગાહ, પક્ષી નિરીક્ષણ અને ખગોળદર્શન તથા નૉન-મોટરાઇઝ્ડ વૉટર સ્પોર્ટ્સનું આયોજન કરી શકે છે.