24 December, 2025 02:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે (તસવીર - આશિષ રાણે)
બીએમસીની ચૂંટણીઓ (BMC Elections 2026) નજીકમાં છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને ઉદ્ધવસેનાએ યુતિ કરી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે તેમજ ઉદ્ધવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ 20 વર્ષ બાદ યુતિ કરી છે. આજે ઠાકરેબંધુઓએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવી દીધું હતું કે આ ભાઈઓ ફરી એકવાર એકબીજા સાથે ઊભા છે. ઉદ્ધવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ આજે એક પત્રકાર પરિષદ યોજીને તેમાં આ જાહેરાત કરી હતી.
મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી (BMC Elections 2026)માં બંને પક્ષના નેતાઓ હવે એકસાથે મળીને ચૂંટણી લડવાના છે. પત્રકાર પરિષદને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે "અમે એક થઈને રહેવા માટે આ યુતિ કરી છે. જે લોકો ભાજપની અંદરની ઘટનાઓ સહન કરી શકતા નથી તેઓ પણ શિવસેના (યુબીટી)-એમએનએસના ગઠબંધનમાં જોડાઈ શકે છે એવું પણ ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું.
BMC Elections 2026: આ સાથે જ આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ બાળાસાહેબ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપી હતી. બંને નેતાઓની સાથે તેમની ધર્મપત્ની પણ સાથે જોવા મળ્યા હતા. ઠાકરે પરિવારે શિવાજી પાર્ક ખાતે બાળાસાહેબ ઠાકરેના સ્મૃતિસ્મારકની મુલાકાત લઇ તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે શિવસેના (ઉદ્વવસેના)ના નેતા આદિત્ય ઠાકરે અને એમએનએસ નેતા અમિત ઠાકરે પણ પરિવાર સાથે જોવા મળ્યા હતા. ગઠબંધનની જાહેરાત પહેલા આખો ઠાકરે પરિવાર એક સાથે ઊભો જોવા મળ્યો હતો.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આ યુતિ મહારાષ્ટ્ર અને તેના લોકોની સુરક્ષા માટે છે. આ યુતિ આપણને અખંડ મહારાષ્ટ્ર માટેના સંઘર્ષની યાદ અપાવે છે. શિવસેનાએ મરાઠી લોકો માટે લડત આપી હતી અને આ વર્ષે પાર્ટીને ૬૦ વર્ષ પૂર્ણ થયા છે. એકતા પર ભાર મૂકતા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, "રાજ ઠાકરે અને મેં એક થઈને રહેવા માટે યુતિ કરી છે. અમે મહારાષ્ટ્રના લોકોની સુરક્ષા માટે એક થયા છીએ. આ સાથે જ તેઓએ મરાઠીભાષી લોકોને એક થઈને રહેવા વિનંતી કરી હતી અને ચેતવણી આપી હતી કે વિભાજન તેમની સામૂહિક શક્તિને નબળી પાડશે. જે લોકો ભાજપની અંદર શું થઈ રહ્યું છે તે જોઈ શકતા નથી તેઓ પણ અમારી સાથે આવી શકે છે.”
ઉદ્ધવસેનાના નેતા સંજય રાઉતે યુતિ જાહેરાત થતાં આજના દિવસને મહારાષ્ટ્ર માટે એક ઐતિહાસિક દિવસ (BMC Elections 2026) ગણાવ્યો હતો અને ઉમેર્યું હતું કે `મંગલ કળશ` ઠાકરેઓના નેતૃત્વની શરૂઆત કરશે. માત્ર તેઓ જ રાજ્યનું નેતૃત્વ કરી શકે છે. જનમેદનીને સંબોધતા રાજ ઠાકરેએ ઔપચારિક રીતે ગઠબંધનની જાહેરાત કરતા પહેલા કહ્યું હતું કે, "મહારાષ્ટ્ર કોઈપણ લડાઈ અથવા દુશ્મનાવટ કરતાં પણ કંઈક વિશેષ છે. આજે હું શિવસેના (યુબીટી) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ગઠબંધનની જાહેરાત કરું છું"