કાર્યવાહી કાયદેસર, પણ રીત અમાનવીય: મુલુંડમાં BMCએ ૬૧ ગેરકાયદે સ્ટૉલ તોડી પાડ્યા

12 February, 2026 06:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિકાસકાર્યોને ધ્યાનમાં રાખીને પગલું ભરવામાં આવ્યું હોવાનું BMCનું કહેવું છે, પરંતુ સ્થાનિક સ્ટૉલધારકોના જણાવ્યા મુજબ વિકાસના નામે તેમની રોજી-રોટી છીનવી લેવામાં આવી છે.

સ્ટેશન વિસ્તારમાં સ્ટૉલ તોડી પાડવામાં આવ્યા હતા.

મુલુંડમાં BMCએ ૬૧ ગેરકાયદે સ્ટૉલ તોડી પાડ્યા : સ્થળાંતર વિના તોડફોડથી તેમને મોટું નુકસાન થયું હોવાનો આક્ષેપ કરીને સ્ટૉલધારકોએ કહ્યું કે વિકાસના નામે અમારી રોજીરોટી છીનવી લેવામાં આવી છે : BMCનું કહેવું છે કે રોડ-વાઇડનિંગ માટે આ સ્ટૉલ હટાવવા જરૂરી હતા

મુલુંડ-વેસ્ટમાં રેલવે-સ્ટેશનની બહાર આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ રોડ પર ગઈ કાલે થયેલી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની તોડફોડ કાર્યવાહીથી ૬૧ સ્ટૉલ ધરાશાયી થયા હતા. એને કારણે એમની સાથે સંકળાયેલા આશરે ૩૦૦ જેટલા લોકો અચાનક રોજગાર વિનાના બની ગયા છે. ૧૯૩૭થી અસ્તિત્વમાં રહેલા આ સ્ટૉલ માત્ર વેપારનું સ્થળ નહોતા પરંતુ અનેક પરિવારોની આજીવિકાનો આધારસ્તંભ હતો. BMCના T વૉર્ડ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી અંગે અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ તમામ સ્ટૉલ ગેરકાયદે હતા અને રોડ-વાઇડનિંગ માટે આ સ્ટૉલ હટાવવા જરૂરી હતા. વિકાસકાર્યોને ધ્યાનમાં રાખીને પગલું ભરવામાં આવ્યું હોવાનું BMCનું કહેવું છે, પરંતુ સ્થાનિક સ્ટૉલધારકોના જણાવ્યા મુજબ વિકાસના નામે તેમની રોજી-રોટી છીનવી લેવામાં આવી છે.

મુલુંડ સ્ટૉલહોલ્ડર્સ ઍન્ડ ઓનર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રમુખ ધીરજ મોમાયાએ 

‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૨૧માં BMCએ તમામ દુકાનદારોને રોડ-વાઇડનિંગના કારણસર નોટિસ આપીને ખાલી કરવા કહ્યું હતું. ત્યારે અમે હાઈ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ ૨૦૨૨માં કોર્ટનો ચુકાદો BMCના પક્ષમાં આવતાં અમને કાનૂની રાહત મળી નહોતી. ત્યાર બાદ સ્થળાંતરના મુદ્દે ચર્ચા ચાલતી રહી હોવાથી કાર્યવાહી અટકેલી હતી. તાજેતરમાં પહેલી ફેબ્રુઆરીએ ફરી નોટિસ આપીને ખાલી કરવા જણાવાયું હતું અને ગઈ કાલે અચાનક કાર્યવાહી અમલમાં મૂકી દેવામાં આવી હતી એટલે શિફ્ટિંગ માટે પણ સમય મળ્યો નહોતો. પરિણામે સ્ટૉલધારકોને મોટું નુકસાન ભોગવવું પડ્યું હતું.’

કાયદા મુજબ તોડફોડ પહેલાં યોગ્ય સ્થળાંતર કરવું આવશ્યક છે અને BMCએ તેમને વિકલ્પરૂપે જે જગ્યા આપી હતી એ વેપાર માટે અનુકૂળ નહોતી એમ જણાવતાં સ્થાનિક દુકાનદાર વસંત મજીઠિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે વર્ષોથી કાયદેસર ટૅક્સ ભર્યો હોવા છતાં અમને હટાવી દેવામાં આવ્યા, પણ ગેરકાયદે અતિક્રમણ સામે આંખ મીંચી લેવામાં આવશે. અમે પ્રૉપર્ટી ટૅક્સ, લાઇટ બિલ સહિત સરકારના તમામ ટૅક્સ ભરતા હોવા છતાં અમારી સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો છે. અમે વર્ષોથી જ્યાં વ્યવસાય કરી રહ્યા છીએ ત્યાં નિયમિત ગ્રાહકો આવતા હોય છે. BMCએ અમને જે વિસ્તારમાં સ્ટૉલ આપ્યા છે એ વિસ્તારમાં ગ્રાહકો આવશે જ નહીં કારણ કે ત્યાં લોકોની અવરજવર જ નથી, ત્યાં દુકાન ચલાવવી અશક્ય છે. BMCએ સ્થળાંતરની પ્રક્રિયા પૂરી કર્યા વગર જ સ્ટૉલ તોડી પાડ્યા છે જેને કારણે અમારા જેવા ૩૦૦ પરિવારો પર આર્થિક સંકટ તૂટી પડ્યું છે.’

mumbai news mumbai brihanmumbai municipal corporation mumbai police mulund