મૉડેલા મિલ કમ્પાઉન્ડમાં થાણે રાસરંગ, ૨૦૨૨નું ભૂમિપૂજન

19 September, 2022 09:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રેડાઇ એમસીએચઆઇ, આશર ગ્રુપ, ફેરપ્લે, જનસેવા પ્રતિષ્ઠાન તેમ જ જીતો થાણે દ્વારા આયોજિત આ નવરાત્રિમાં નૈતિક નાગડાના તાલ પર હજારો ખેલૈયાઓ થીરકશે

થાણે રાસરંગ, ૨૦૨૨ના ગઈ કાલના ભૂમિપૂજન અને એ પછીની પત્રકાર પરિષદમાં હાજર મહાનુભાવો પ્રવીણ ભાનુશાલી, પ્રકાશ નરસાણા, મનીષ ખંડેલવાલ, મહેન્દ્ર જૈન, નૈતિક નાગડા, જિતેન્દ્ર મહેતા, અજય આશર, રાહુલ વોરા, પરેશ ઠક્કર, ફૈયાઝ વીરાણી, મહેશ મકવાણા, હરેશ અવલાણી, રાજેશ ઠક્કર. (તસવીર : સમીર માર્કન્ડે)

ક્રેડાઇ એમસીએચઆઇ, આશર ગ્રુપ, ફેરપ્લે, જનસેવા પ્રતિષ્ઠાન તેમ જ જીતો થાણે આયોજિત થાણે રાસરંગ, ૨૦૨૨ ફરી એક વાર ગરબાપ્રેમીઓનાં મન જીતવા ૨૬ સપ્ટેમ્બરથી પાંચ ઑક્ટોબર સુધી થાણે શહેરમાં અતિશય ઉત્સાહભેર તૈયાર છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા આ નવરાત્રોત્સવના આયોજન માટેનું ભૂમિપૂજન ગઈ કાલે મૉડેલા મિલ કમ્પાઉન્ડમાં સંપન્ન થયું હતું. આમાં સૌપ્રથમ માતાજીની પૂજા-અર્ચના બાદ ગ્રાઉન્ડની જમીનની શ્રીફળ વિધિ અને મંત્રોચ્ચાર કરીને મનીષ ખંડેલવાલના હસ્તે મંડપનો પાયો નાખવામાં આવ્યો હતો અને પૂજા-અર્ચના બાદ આરતી કરી દાંડિયાકિંગ નૈતિક નાગડા ઍન્ડ ટીમના ઢોલ અને સૂરના તાલે ઉપસ્થિત સર્વે મહેમાનો એ રાસગરબાના રંગમાં રંગાઈ ગયા હતા અને ગરબાની રમઝટ જામી હતી.

ક્રેડાઇ એમસીએચઆઇના પ્રેસિડન્ટ જિતેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે ‘સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ શહેર થાણે નવરાત્રિ અને દુર્ગાપૂજાની ઉજવણી કરવા માટે તૈયાર છે. ભૂતકાળની જેમ આ વર્ષે પણ સ્થળ મૉડેલા મિલ્સ કમ્પાઉન્ડ, થાણે મુલુંડ સર્કલ, ચેકનાકા પાસે, થાણે જ છે.’ 

ક્રેડાઇ એમસીએચઆઇ, થાણેના સચિવ મનીષ ખંડેલવાલ ઉમેરે છે કે ‘નવરાત્રિની વિશેષ તૈયારીઓ અને દરેક દિવસની ઇવેન્ટ માટે સૌથી રંગીન અને પારંપરિક શ્રેષ્ઠ પોશાક પહેરીને રમનારા ખેલૈયાઓ સૌને ઓતપ્રોત કરશે.’ 

નવરાત્રિના ઢોલકિંગ રોકસ્ટાર નૈતિક નાગડાના ઢોલના તાલ હંમેશની જેમ સૌને મંત્રમુગ્ધ કરી દેશે અને તેમના ઢોલના તાલ સાથે ભાવવિભોર કરીને ગુજરાતી સંસ્કૃતિની ઝાંકી કરાવનાર ગરવી ગુજરાતના ગર્વને તેમના સૂર સાથે રમઝટ બોલાવનાર ગાયકો ઉમેશ બારોટ, કોશા પંડ્યા, દિવ્યા જોષી અને અંબર દેસાઈ સહિત ગાયકો આ કાર્યક્રમમાં જોવા મળશે. 

જિતેન્દ્ર મહેતા વધુમાં જણાવે છે કે ‘રાસરંગ નવરાત્રિનો ઉત્સવ માત્ર આનંદ અને ઉત્સાહ પૂરતો સીમિત નથી. આ ઇવેન્ટ દ્વારા મળતી રકમ દ્વારા સામાજિક ધોરણે માનવતાનાં અનેક કાર્યો પણ કરવામાં આવે છે. ક્રેડાઇ એમસીએચઆઇ, થાણેએ શહેરની છબિને વધુ પ્રતિષ્ઠિત બનાવવાના ઇરાદા સાથે આ ઇવેન્ટની શરૂઆત કરી હતી અને અમે અમારું લક્ષ્ય હાંસલ કર્યું છે. વિશેષ ખાસિયત એ છે કે ૨૮ સપ્ટેમ્બરે બાળકો માટે અને ૨૯ સપ્ટેમ્બરે ટીએમસી મ્યુનિસિપલ શાળાના વિદ્યાર્થીઓ માટે દાંડિયા સેશન રાખવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થયેલા સ્વચ્છતા અભિયાનના આયોજનમાં સ્વચ્છ અમૃત મહોત્સવમાં લોકસહભાગી થવા અમે ૭૫મી સ્વતંત્ર વર્ષગાંઠની ઉજવણીરૂપે સ્વચ્છતા માટે પ્રચાર કરીશું. અમને એવી ખાતરી છે કે થાણે નંબર વન શહેર બનશે. થાણે અને મુંબઈવાસીઓએ અગાઉ પણ રાસરંગની ભવ્યતા અનુભવ કર્યો છે અને આ ઇવેન્ટને અભૂતપૂર્વ સફળતા અપાવી હતી. એ જ પ્રમાણે આ પરંપરાને આ વર્ષે પણ યાદગાર બનાવવામાં આવશે. આ વર્ષે પણ ઉજવણી અને ઉત્સાહ માટે ૧૨,૦૦૦થી વધુ ખેલૈયાઓ અને પ્રેક્ષકોની અપેક્ષા છે. માત્ર મુંબઈ અને થાણે જ નહીં, મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (એમએમઆર)ના સમગ્ર મુંબઈના રહેવાસીઓને પણ આ ઇવેન્ટમાં ભાગ લેતા અને આનંદ માણતા જોયા છે.’

https://innovateindia.mygov.in/swachhyouthrally/ - આ લિન્ક પર ક્લિક કરીને તમામ થાણેવાસીઓને ઝુંબેશમાં જોડાવાની વિનંતી છે.

mumbai mumbai news navratri thane