08 June, 2026 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દુર્ઘટનાસ્થળનું કંપારી છૂટે એવું દૃશ્ય
મુંબઈના દાદરમાં બેસ્ટ બસનો ભીષણ અકસ્માત (BEST bus accident) થયો છે. દાદર પ્લાઝા ટૉકીઝ પાસે બેસ્ટ બસના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં ત્રણથી ચાર વાહનોઓને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે ત્યાં ને ત્યાં જ એક ટીનજર મોતને ભેટ્યો હતો. આ એક્સિડન્ટને લીધે દાદર પ્લાઝા ટૉકીઝ પાસે ભારે ટ્રાફિક જૅમ થયો હોવાનું કહેવાય છે.
આજે સવારે દાદર વેસ્ટમાં પ્લાઝા સિનેમા પાસે વીર કોતવાલ ગાર્ડન નજીકના રૂટ 463/31 પર બેસ્ટ બસે કાર અને ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. જેમાં ટીનેજરનું મોત થયું છે અને અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ (BEST bus accident) થઈ છે. આ અકસ્માતની જાણ સવારે 10.45 વાગ્યે કરવામાં આવી હતી, અને તમામ ઈજાગ્રસ્તોને સાયન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં એકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
પ્લાઝા સિનેમા નજીક બેસ્ટ બસ નંબર 463ના બસડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતાં જ બસે કેટલાક ટૂ-વ્હીલરને ટક્કર મારી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક ટુ-વ્હીલર તો બસના નીચેના ભાગમાં આવી ગયું હતું. પોલીસ મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. બસ દ્વારા કેટલાક વાહનો (BEST bus accident)ને પણ ટક્કર મારવામાં આવી હોવાના અહેવાલ છે. આ ઘટનામાં ચારથી વધુ લોકોને ઇજાઓ થઈ છે.
સાયન હોસ્પિટલના આસિસ્ટન્ટ મેડિકલ ઓફિસર (AMO) ડૉ. રણધીર પાસેથી મળેલી માહિતી અનુસાર, એક ટીનેજરનું મોત થયું છે. ઈજાગ્રસ્તોમાં ટીનેજર ઋષભ ગુપ્તાને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આ સાથે જ ૪૮ વર્ષના સતીશ વાઘમ્બરે કે જે બેસ્ટ ઇન્સ્પેક્ટર હતા તેઓને છાતી અને માથામાં ઈજા થઈ હતી. ૫૦ વર્ષના મહેશ દોઈફોડેને ડાબા ખભામાં ઈજા થઈ હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર બસ ડ્રાઈવરની ધરપકડ (BEST bus accident) કરવામાં આવી છે. અકસ્માતથી ક્ષતિગ્રસ્ત વાહનોને રસ્તાની બાજુમાં ખસેડવામાં આવ્યા છે અને ત્યારથી વાહનોની અવરજવર પણ ફરીથી શરૂ કરવામાં આવી છે. આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે. અધિકારીઓએ હજુ સુધી આ ઘટનાનું ચોક્કસ કારણ આપ્યું નથ. તપાસ પૂરી થયા બાદ જ જાણી શકાશે.
આ ઘટનાએ ફરી એકવાર મુંબઈના રોડ પર મુસાફરોની સલામતી (BEST bus accident) સામે પ્રશ્નો ઊભા કર્યા છે. બેસ્ટ બસોના આવા અકસ્માતો સતત વધી રહ્યા હોઇ પદયાત્રીઓ, મોટરચાલકો અને મુસાફરોના જીવ સામે જોખમ તોળાઈ રહ્યું છે. હવે તો નાગરિકોને ફૂટપાથ પર ચાલતી વખતે, રસ્તો ઓળંગતી વખતે અથવા બસ સ્ટોપ પર બસની રાહ જોતી વખતે ડર પેદા થયો છે.