10 February, 2021 01:23 PM IST | Mumbai | Mumbai correspondent
શિવસેનાના વધુ એક નેતાની ઈડીએ પૂછપરછ કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા શિવસેનાના થાણેના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈક અને સંજય રાઉતનાં પત્ની વર્ષા રાઉત બાદ શિવસેનાના વધુ એક નેતાની પૂછપરછ હાથ ધરાઈ છે. ગઈ કાલે શિવસેનાના અમરાવતી મતદાર ક્ષેત્રના ભૂતપૂર્વ સંસદસભ્ય આનંદરાવ અડસૂલ ઈડીની ઑફિસે બપોરે ત્રણ વાગ્યે પહોંચ્યા હતા. તેમની સામે સિટી કો-ઑપરેટિવ બૅન્કના કથિત ૧૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે. તેમની સામે વડનેરાના વિધાનસભ્ય રવિ રાણા અને બીજેપીના ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ ફરિયાદ કર્યા બાદ ઈડીએ તપાસ શરૂ કરી છે.
આનંદરાવ અડસૂલ સામે સિટી કૉ-આપરેટિવ બૅન્કમાં ગોટાળો કરવાની ફરિયાદ પાંચમી જાન્યુઆરીએ નોંધાઈ હતી. આ બૅન્કની મુંબઈમાં ૧૩ જેટલી બ્રાન્ચ છે, જેમાં ૯૦૦ લોકોનાં અકાઉન્ટ છે. આ બૅન્કે નાદારી નોંધાવી હોવાથી ખાતેદારો માત્ર એક હજાર રૂપિયા જ ઉપાડી શકે છે.
આનંદરાવ અડસૂળ સામે બૅન્કની મિલકત ભાડે આપવાથી માંડીને અનેક ગરબડ કર્યાના પુરાવા બન્ને ફરિયાદીએ ઈડીને સોંપ્યા હોવાથી ગઈ કાલે તેમને પૂછપરછ માટે બોલાવાયા હોવાનું જાણવા મળ્યું હતું.
બીજેપીના ઇશારે ઈડી શિવસેનાના નેતાઓને નિશાન બનાવી રહી હોવાનો આરોપ પક્ષ દ્વારા કરાઈ રહ્યો હોવાનાં નિવેદનો સંજય રાઉતથી માંડીને કેટલાક નેતાઓએ કર્યાં છે.