01 June, 2021 04:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નિશા રાવલ કરણ મેહરા - ફાઇલ તસવીર
નૈતિકનું પાત્ર ભજવીને પોપ્યુલર થયેલા અભિનેતા કરણ મેહરા અને તેની પત્ની નિશા રાવલ વચ્ચે ઘણા દિવસોથી અણબનાવ હતો. ગઇ કાલે રાતે બન્ને વચ્ચે માથાકૂટ થતા પત્નીએ પતિ વિરુદ્ધ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી. કરણ મેહરાની પત્ની નિશા રાવલની સાથે ઘરેલુ હિંસા કરવાના આરોપમાં મુંબઇ પોલીસે ધરપકડ કરી અને નિવેદન લીધા બાદ તેને જામીન પર છોડી મૂકાયો હતો. IPC કલમ 336,337,332, 504,506 હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી મુંબઈ પોલીસે જણાવ્યું કે બંને વચ્ચે પારિવારિક વિવાદ થયો હતો.
ઘણા લાંબા સમયથી તેમની વચ્ચે બનતું ન હોવાના સમાચાર આવતા હતા પણ કરણ આ તમામને અફવામાં ખપાવતો હતો અને તેમના સંબંધોમાં કોઇ સમસ્યા નથી તેમ કહેતો. કરણે 24 નવેમ્બર 2012 ના રોજ અભિનેત્રી નિશા સાથે લગ્ન કર્યા હતા. બંનેએ એકબીજાને છ વર્ષ સુધી ડેટ કર્યા હતી. 2017માં તેમને એક પુત્ર થયો.
કરણે તેની કારકિર્દીની શરૂઆત સ્ટાર પ્લસ સીરિયલ `યે રિશ્તા ક્યા કહલાતા હૈ` થી કરી હતી. તેમના પાત્રનું નામ નૈતિક સિંઘાનિયા હતું. આ સીરીયલ બાદ તે દરેક ઘરમાં પ્રખ્યાત થઈ ગયો. આ પછી તેણે `નચ બલિયે 5`, `નચ બલિયે શ્રીમન વિ શ્રીમતી` અને `બિગ બોસ 10` માં ભાગ લીધો હતો.
કરણ મેહરા અને નિશા રાવલની મુલાકાત વર્ષ 2008માં ફિલ્મ `હંસતે હંસતે`ના સેટ પર થઈ હતી. તે ફિલ્મમાં કરણ મેહરા સ્ટાઈલિશ તરીકે કામ કરતા હતા. એક અભિનેતા હોવાની સાથે-સાથે કરણ મેહરા ફેશન ગ્રેજ્યુએટ પણ છે. નિશા રાવલને જોતા જ કરણ મેહરા તેમના પ્રેમમાં પડી ગયા હતા. બંનેએ વર્ષ 2012માં લગ્ન કર્યાં હતાં.