11 October, 2020 03:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે
આરેમાં મેટ્રો કારશેડ નહીં બને એ વાત પાક્કી છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackrey)એ આરે મેટ્રો કારશેડ વિરુદ્ધ પ્રદર્શન કરનારા દરેક લોકો ઉપર ચાલતો કેસ નાબૂદ કરવાની જાહેરાત કરી છે. તેમણે 800 એકરની જમીનને વનભૂમિ જાહેર કરી છે.
મુખ્ય પ્રધાને કહ્યું કે, શિવસેના કારશેડનો હંમેશાથી જ વિરોધ કરતી હતી. મેટ્રો કારશેડને કાંજૂરમાર્ગમાં ખસેડવાનો નિર્ણય લેવાયો છે. આરેમાં કોઈ કારશેડ નહીં બને. કાંજૂરમાર્ગ સરકારી જમીન છે, તેથી ત્યાં કારશેડ ટ્રાન્સફર કરતા કોઈ વધારાનો ખર્ચ આવશે નહીં.
તેમણે ઉમેર્યું કે, આ પ્રક્રિયામાં સરકારી તિજોરીનો એકેય રૂપિયો ખર્ચ નહીં થાય. આદિત્ય ઠાકરે, અજિત પવાર, બાળાસાહેબ થોરાટ, એકનાથ શિંદે, સુનિલ કેદાર અને મેટ્રોના અધિકારીઓનો આભારી છું. કારશેડને લઈને દરેક અનિશ્ચિતતા ખતમ થઈ છે.
ખેડૂતોના મુદ્દે તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે 29.5 લાખ ખેડૂતોનું દેવુ માફ કર્યું છે. કિસાન બિલ ઉપર અમે વિચાર કરી રહ્યા છે. જો આ બિલ ખેડૂતો માટે ફાયદાકારક ન હોય તો અમે તેનો સ્વિકાર નહીં કરીશું. અમે કૃષિ સંઘઠનો અને નિષ્ણાતો સાથે આ બાબતે વાતચીત કરી રહ્યા છીએ.
લૉકડાઉનથી જ બંધ પડેલા જીમ બાબતે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અમે જીમના માલિકો સાથે વાતચીત કરી રહ્યા છીએ કે કેવી રીતે જીમને શરૂ કરી શકાય. કોરોના મહામારીની ગંભીરતાને સમજતા દરેક પાસાઓનું ધ્યાન રાખીને નિર્ણય લેવા પડે છે. અમૂક વિસ્તારોમાં ફરી લૉકડાઉન થઈ શકે છે. હું ઈચ્છું છું કે આ પગલુ મારે ન લેવુ પડે. લોકોએ સમજવુ જોઈએ કે તેમને લૉકડાઉન જોઈએ છે કે માસ્ક. મારી ફરીથી લૉકડાઉન નથી કરવું. મને ખબર છે કે તમને બધાને અમારા ઉપર ભરોસો છે. દરેક ધર્મના લોકોએ અમારા ઉપર વિશ્વાસ રાખતા અમે ધાર્મિક સ્થળની બાબતે ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે. દરેક વ્યક્તિએ સતર્ક રહેવાની જરૂર છે.