21 November, 2019 08:42 AM IST | New Delhi
નવી દિલ્હીમાં ગઈ કાલે મીટિંગમાં શરદ પવાર અને અહમદ પટેલ. તસવીર : પી.ટી.આઇ.
કૉન્ગ્રેસ-એનસીપીના ગઠબંધનના શિવસેના સાથે હાથ મિલાવવાની તૈયારીના સ્પષ્ટ સંકેતરૂપે ગઈ કાલે કૉન્ગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે ટૂંક સમયમાં મહારાષ્ટ્રને સ્થિર સરકાર આપવાની બાંયધરી ઉચ્ચારી હતી. એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે શિવસેના સાથે હાથ મિલાવવા બાબતે સ્પષ્ટ સંમતિ દર્શાવતાં જણાવ્યું હતું કે ત્રણ પક્ષો ભેગા ન થાય તો સરકાર રચી શકાય એમ નથી.
મહારાષ્ટ્રમાં સરકારની રચના વિશેનું આ અત્યાર સુધીનો સૌથી સ્પષ્ટ સંકેત છે અને આજે ગુરુવારે શિવસેનાના વિધાનસભ્યોની બેઠકમાં ચિત્ર સંપૂર્ણપણે સાફ થઈ જશે એવી સંભાવના છે. ઝારખંડમાં ૩૦ નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે એ પહેલા મહારાષ્ટ્રમાં સરકારની રચના થઈ જશે એવું માનવામાં આવે છે.
જોકે મુખ્ય પ્રધાનનો હોદ્દો કોને મળશે એ વિશેની સ્પષ્ટતા હજી થઈ નથી. જોકે એવું માનવામાં આવે છે કે શાસનના પહેલા ભાગમાં શિવસેનાનો મુખ્ય પ્રધાન હશે, જ્યારે બીજા ભાગમાં એનસીપીને મુખ્ય પ્રધાનપદ અપાશે. કૉન્ગ્રેસને નાયબ મુખ્ય પ્રધાનપદ પાંચ વર્ષ માટે આપવામાં આવે એવી સંભાવના છે.
ગઈ કાલે એનસીપીના પ્રમુખ શરદ પવારના દિલ્હીના નિવાસસ્થાને કૉન્ગ્રેસ અને એનસીપીના વરિષ્ઠ નેતાઓની મૅરેથૉન મીટિંગ પછી પૃથ્વીરાજ ચવાણ સાથે એનસીપીના નેતા નવાબ મલિકે પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓને સંબોધન કર્યું હતું. ચવાણ અને મલિકે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિશાસનને કારણે રાજ્યમાં પ્રશાસન સ્થગિત થઈ ગયાની સ્થિતિનો અંત આવશે.
કૉન્ગ્રેસના કેટલાક નેતાઓનો શિવસેના જોડે સંબંધ રાખવા સામે વિરોધને કારણે કૉન્ગ્રેસ મહારાષ્ટ્રમાં ત્રિપક્ષી સરકાર માટે સંમત થશે કે નહીં એ શંકાનું નિવારણ આ જાહેરાતને પગલે થયું છે. એનસીપીના પ્રમુખના નિવાસસ્થાને ચાર કલાકની મૅરેથૉન મીટિંગમાં અહમદ પટેલ અને મલ્લિકાર્જૂન ખડગે સહિત કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા.
અગાઉ શરદ પવાર મહારાષ્ટ્રના ખેડૂતોની સમસ્યાઓ વિશે ચર્ચા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે પણ કૉન્ગ્રેસનાં વર્તુળો તરફથી નારાજગી દર્શાવવામાં આવી હતી.
આ પણ વાંચો : બાંદરા-વર્સોવા સી લિન્કનાં કામના થયા શ્રીગણેશ
પૃથ્વીરાજ ચવાણે જણાવ્યું હતું કે ‘ત્રિપક્ષી ગઠબંધનનાં કેટલાંક પાસાંની ચર્ચા બાકી છે. અમે લાંબી અને હકારાત્મક ચર્ચા કરી છે. મહારાષ્ટ્રને સ્થિર સરકાર પ્રદાન કરવાનો અમને આત્મવિશ્વાસ છે.’