28 April, 2019 11:23 AM IST | મુંબઈ | (મિડ-ડે પ્રતિનિધી)
મિલિંદ દેવરા
ગઈ કાલે પત્રકારો સાથે વાત કરતાં દક્ષિણ મુંબઈના કૉન્ગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવરાએ કહ્યું હતું કે શિવસેના પર ફરી વિશ્વાસ મૂકવો મૂર્ખતા હશે. પ્રચારના અંતિમ દિવસે મુંબઈની જનતાને શું સંદેશ આપવા માગો છો, એમ પત્રકારોએ પૂછતાં મિલિંદ દેવરાએ કહ્યું હતું કે ‘મુંબઈની જનતાએ પાંચ વર્ષ પહેલાં મોદીના નામ પર શિવસેનાના સંસદસભ્યોને ચૂંટીને દિલ્હી મોકલ્યા હતા, પરંતુ વીતેલાં આ પાંચ વર્ષમાં મુંબઈના લોકોની વાચા બનવાને બદલે તેમણે પોતાનો અવાજ મોદીજીને ગાળો આપવામાં જ વાપર્યો. જે સમુદાયોએ તેમને મત આપીને ચૂંટuા હતા તેમની સાથે તેમણે વિશ્વાસઘાત કર્યો છે.’
દક્ષિણ મુંબઈની પૃષ્ઠભૂમિ પર વાત કરતાં મિલિંદ દેવરાએ કહ્યું હતું કે ‘મુંબઈને દેશની આર્થિક રાજધાની બનાવવામાં દક્ષિણ મુંબઈનો સૌથી મોટો હાથ છે. તેને એક આર્થિક શક્તિ બનાવવામાં વેપાર સાથે જોડાયેલા કેટલાક સમુદાયનો ફાળો છે. શિવસેના જેવી પાર્ટીઓ તેમની વેપારવિરોધી નીતિને કારણે દક્ષિણ મુંબઈનો વિશ્વાસ ખોઈ ચૂકી છે. આજે વેપારી સમાજ તેમનાથી બેહદ નારાજ છે અને આ નારાજગી મતદાનના દિવસે દેખાશે.’
આ પણ વાંચો : જેટ ઍરવેઝના કર્મચારીએ આત્મહત્યા કરી
બીજેપી અને સેનાની યુતિ પર વાત કરતાં મિલિંદ દેવરાએ કહ્યું કે ‘આ યુતિ માત્ર ચૂંટણી સુધી જ છે, આગામી છ મહિનામાં આ યુતિ તૂટી શકે છે. જ્યારે શિવસેનાનો આતંક અને અત્યાચાર મુંબઈમાં વધે છે ત્યારે બીજેપી સરકાર ચૂપ બેસે છે.’ અંતે મિલિંદ દેવરાએ કહ્યું હતું કે ‘મારા નેતૃત્વમાં મુંબઈના રાજકારણમાં ફરક દેખાશે. દક્ષિણ મુંબઈના નાના-મોટા વેપારી સંઘઠનો અને તમામ સમુદાયો સાથેના ઘનિષ્ઠ સંબંધોને ટાંકતા તેમણે દક્ષિણ મુંબઈની જનતાને ધર્મ, જાતિ અને વ્યવસાયના નામ પર છેલ્લાં પાંચ વર્ષમાં થયેલા અન્યાય કે દુર્વ્યવહાર રોકવા શિવસેનાને દક્ષિણ મુંબઈથી ઉખાડી ફેંકવાની અપીલ કરી હતી.’