13 June, 2019 10:31 AM IST | મુંબઈ
શહેરના અનેક વિસ્તારોમાં સૂસવાટા મારતા પવનની સાથે વરસાદનાં ઝાપટાં પડી રહ્યાં હતાં ત્યારે બાઇકસવારે વરસાદની મજા માણી હતી. તસવીર : સુરેશ કરકેરા
વાવાઝોડું ‘વાયુ’ અરબી સમુદ્રથી ગુજરાતની દિશામાં આગળ વધતાં ગઈ કાલે મુંબઈ પાસેથી પસાર થયું ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં સૂસવાટા મારતા પવનની સાથે વરસાદનાં ઝાપટાં પડ્યાં હતાં. પરાં વિસ્તારમાં મુલુંડ, પવઈ અને બાંદરા ઉપરાંત પાડોશી શહેર થાણેમાં પણ પવન ફૂંકાવા સાથે ઝાપટાં પડ્યાં હતાં. પવનનો વેગ કલાકના પંચાવન કિલોમીટર હોવાનું હવામાન ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : વાયુ વાવાઝોડાની મુંબઈ પર પણ અસર
હવામાન ખાતાના અધિકારીઓએ વાતાવરણમાં આવેલા પલટાને ‘વર્ષા ઋતુ પૂર્વેના સંજોગો’ ગણાવતાં અનરાધાર વરસાદ પડવાની સંભાવના નકારી હતી. છૂટાંછવાયાં ઝાપટાંની આગાહી કરતાં માછીમારોને દરિયામાં નહીં જવાની સૂચના હવામાન ખાતા તરફથી આપવામાં આવી છે. પશ્ચિમ ભારતનાં કાંઠાળ ક્ષેત્રો ઉપરાંત કેરળ, કર્ણાટક અને લક્ષદ્વીપ ટાપુઓના માછીમારોને દરિયામાં નહીં જવા અને માછીમારી માટે નીકળેલી બોટ્સને પાછી વાળવાની સૂચના બહાર પાડવામાં આવી છે.