22 September, 2022 05:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ ફોટો
મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણે(Thane)જિલ્લાના ઉલ્હાસનગર(Ulhasnagar)માં એક દુર્ઘટના ઘટી છે. પાંચ માળની ઈમારતનો એક હિસ્સો ધસી પડતાં 4 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થઈ છે.
આ ઘટના મામલે ઉલ્હાસનગરની એક સ્થાનિક મહિલાએ કહ્યું કે હજી સુધી કાટમાળમાં કેટલાક લોકો ફંસાયા હોવાની આશંકા છે. ફસાયેલા લોકોને બચાવવા માટે બચાવ કામગીરી યથાવત છે. તેણીએ વધુમાં જણાવ્યું તે ઉલ્હાસનગર કેમ્પ 5માં સ્થિત બિલ્ડિંગના ત્રીજા માળ પર એક સ્લેબ ધસી પડ્યો હતો. આ બિલ્ડિંગમાં 30 મકાનો છે. જે ગેરકાયદે છે, અને પહેલાથી નોટિસ પણ મળી ચૂકી છે. જો કે, પાંચ પરિવાર હજી પણ આ બિલ્ડિંગમાં રહે છે.
આ પણ વાંચોઃ Maharashtra: ઠાકરે અને શિંદે બંનેને ઝટકો, BMCએ શિવાજી પાર્કમાં રેલી માટે કર્યો ઈન્કાર
આ અકસ્માતની માહિતી મળતાં સ્થાનિક ફાયર બ્રિગેડના જવાનો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, પોલીસ, રેવન્યુ અને નગરપાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી. મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું કે મૃતકોની ઓળખ સાગર ઓછાણી (19), પ્રિયા ધનવાણી (24), રેણુ ધોલનદાસ ધનવાણી (54) અને ધોલદાસ ધનવાણી (58) તરીકે થઈ છે.