12 May, 2021 07:36 AM IST | Mumbai | Prajakta Kasale
નાયર હૉસ્પિટલમાં વૅક્સિન લઈ રહેલા સિનિયર સિટિઝન. આશિષ રાજે
શહેરમાં રસીની તીવ્ર અછત સર્જાતાં ઉદ્ભવેલી સમસ્યાઓનો કોઈ ઉકેલ દેખાઈ રહ્યો નથી એમાં નાગરિકો સામે હવે નવો પડકાર ઊભો થયો છે. ૪૫ વર્ષ કરતાં વધુ વયના ૧૬.૨૮ લાખ નાગરિકોમાંથી રસીનો પ્રથમ ડોઝ લેનારા આશરે ૫૦ ટકા (૭.૧૬ લાખ) લોકોએ આગામી બે સપ્તાહમાં બીજો ડોઝ લેવાનો રહેશે. તે પૈકીના ૨.૭૫ લાખ લોકોએ બે ડોઝ વચ્ચેનો જરૂરી છ સપ્તાહનો ગાળો પૂરો કરી દીધો છે. આ લાભાર્થીઓને સમયસર બીજો ડોઝ મળે તે સુનિશ્ચિત કરવા માટે વર્તમાન સમયમાં છેલ્લા દસ દિવસથી દૈનિક ૧૫,૦૦૦ લોકોને રસી મૂકવામાં આવી રહી છે, એની સામે આગામી ત્રણ સપ્તાહમાં ઓછામાં ઓછા દૈનિક ૩૦,૦૦૦-૩૫,૦૦૦ નાગરિકોને બીજો ડોઝ આપવો પડશે.
આદર્શ રીતે જોતાં કોવૅક્સિનના બે ડોઝ વચ્ચે ૨૮ દિવસનો સમયગાળો હોવો જોઈએ. અગાઉ કોવિશીલ્ડ માટે પણ તે જ સમયગાળો હતો, પરંતુ ૨૨ માર્ચના રોજ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સમયગાળો વધારીને છથી આઠ સપ્તાહનો કરવા જણાવ્યું હતું. ૯૫ ટકા કરતાં વધુ લાભાર્થીઓને કોવિશીલ્ડ અપાઈ છે, પરંતુ બે મહિનાનો ગાળો પૂરો થઈ ગયો હોવા છતાં ઘણા લોકોને હજી સુધી બીજો ડોઝ અપાયો નથી. એમાંય જેમણે કોવૅક્સિન લીધી હતી, તેમના માટે સમસ્યા વધુ ગંભીર છે, કારણ કે શહેરમાં કોવૅક્સિનનો જથ્થો ભાગ્યે જ ઉપલબ્ધ છે.
બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર અમે રસી આપી રહ્યા છીએ. રસીના જથ્થા પર અમારું નિયંત્રણ નથી, પણ જો અમને પૂરતો જથ્થો મળે તો તમામ નાગરિકોને સમયસર રસી આપવા માટે અમે પૂરતી વ્યવસ્થા ધરાવીએ છીએ.’
રસીના જથ્થા પર અમારું નિયંત્રણ નથી, પણ જો અમને પૂરતો જથ્થો મળે તો તમામ નાગરિકોને સમયસર રસી આપવા માટે અમે પૂરતી વ્યવસ્થા ધરાવીએ છીએ.
બીએમસી અધિકારી