26 October, 2020 01:41 PM IST | Aurangabad | Agency
પંકજા મુંડે
વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું ૧૦૦૦૦ કરોડ રૂપિયાનું રાહત પૅકેજ તમામ ખેડૂતો માટે પર્યાપ્ત નથી એમ બીજેપીનાં નેતા અને ભૂતપૂર્વ પ્રધાન પંકજા મુંડેએ ગઈ કાલે કહ્યું હતું.
ઔરંગાબાદથી લગભગ ૧૨૫ કિલોમીટરના અંતરે આવેલા બીડના પાટોડા વિસ્તારના સાવરગાંવમાંથી ભગવાન ભક્તિગઢ ખાતેથી ઑનલાઇન દશેરા રૅલીને સંબોધન કરતાં કહ્યું હતું કે કપાસ, સોયાબીન અને ચોખા જેવા પાકને વરસાદથી ભારે નુકસાન પહોંચ્યું હતું અને ઉદ્ધવ ઠાકરેએ તેમને થયેલા નુકસાન માટે હજી વધુ રકમનું રાહત પૅકેજ જાહેર કરવું જોઈએ. ભગવાન ભક્તિગઢ આધ્યાત્મિક ગુરુ ભગવાન બાબા સાથે સંલગ્ન છે.
પિલાણની મોસમ દરમ્યાન સુગર ફૅક્ટરી અને કામદારો વચ્ચેની મડાગાંઠ પર બોલતાં તેમણે કહ્યું હતું કે એનસીપી વડા શરદ પવારે આમાંથી કોઈ માર્ગ કાઢવો જોઈએ. શેરડીના મજૂરો જે મુદ્દાઓનો સામનો કરી રહ્યા છે તેનો ક્યાસ કાઢવા માટે તેમણે દેશના પ્રવાસની યોજના બનાવી હોવાનું જણાવ્યું હતું.
ક્રિકેટના ખેલાડીઓનું પ્રિય મનાતું જાણીતું મેદાન અને ૧૯૬૦ના દાયકાથી શિવસેનાના સ્થાપક સ્વર્ગસ્થ બાળ ઠાકરેની રૅલીઓના સાક્ષી સમાન મુંબઈના શિવાજી પાર્કમાં દશેરાની રૅલીને સંબોધન કરવાની આશા તેમણે વ્યક્ત કરી હતી.