15 December, 2019 02:50 PM IST | Mumbai Desk
પશ્ચિમ રેલવેની વધુ લોકલ ટ્રેનોના ડબાની સંખ્યા ૧૨થી વધારીને ૧૫ કરવાનું અડધું કામ પૂરું થયું છે. હવે વધુ ૧૦ ટ્રેનો ૧૫ ડબાની કરવામાં આવતાં ૨૦૨૦ના માર્ચ મહિનાના અંતે એ કામગીરી પૂર્ણ થશે. એ સાથે સ્લો લાઇન ઉપર ૧૫ ડબાની ટ્રેનોના ૬૫ ફેરા વધારી શકાશે.
સૌથી વધારે ભીડ ધરાવતા અંધેરીથી વિરારના પટ્ટામાં સ્લો લાઇન ઉપર ૧૫ ડબાની ટ્રેનો દોડાવવા માટે ૧૪ સ્ટેશનોના ૩૧ પ્લૅટફૉર્મ્સની લંબાઈ વધારાઈ રહી છે. એમાંથી ૭ સ્ટેશનોના પ્લૅટફૉર્મ્સની લંબાઈ વધારવાની કામગીરી પૂરી થઈ છે. બાકીનાં ૭ સ્ટેશનોના પ્લૅટફૉર્મ્સની લંબાઈ વધારવાની કામગીરી પૂરી કરવા માટે ૨૦૨૦ના માર્ચ મહિના સુધીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
મધ્ય રેલવેની સીએસએમટી-કલ્યાણ ફાસ્ટ લાઇન પર ૧૫ ડબાની ટ્રેનોના ફક્ત ૧૬ ફેરા દોડાવવામાં આવે છે. કલ્યાણ-કસારા અને કલ્યાણ- કરજત લાઇન પર પ્લૅટફોર્મની લંબાઈ ઓછી હોવાથી ત્યાં ૧૫ ડબાની ટ્રેનો દોડાવવી શક્ય નથી.