02 May, 2021 07:59 AM IST | London | Gujarati Mid-day Correspondent
અદર પૂનાવાલા
દેશમાં વૅક્સિનેશન પ્રોગ્રામ માટે કોવિશીલ્ડના વાઇલ્સના પુરવઠા માટે મહાનુભાવો કે મોટાં માથાં કહેવાય એવી વ્યક્તિઓ તરફથી સતત દબાણ વધતું હોવાનું પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ અદર પૂનાવાલાએ જણાવ્યું હતું. અદર પૂનાવાલાએ મુખ્ય પ્રધાનો અને વેપાર ઉદ્યોગ ક્ષેત્રના મહાનુભાવો સહિત વિવિધ સ્તરના સત્તાધારીઓ તરફથી દબાણના ફોન આવતા હોવાનું લંડન ખાતે પ્રસાર માધ્યમોને જણાવ્યું હતું.
રોગચાળાને કારણે બ્રિટને ભારતીયો માટે દરવાજા બંધ કર્યા એ પહેલાં લંડન પહોંચેલા અદર પૂનાવાલાએ જણાવ્યું હતું કે ‘મોટાં માથાં કહેવાય એવી વ્યક્તિઓ ગંદા શબ્દો વાપરતી નથી, પરંતુ તેમનું બોલવાનું આક્રમક પ્રકારનું હોય છે. બધો ભાર મારા માથા પર નાખવાની રીત અયોગ્ય છે. હું વૅક્સિન્સના ઉત્પાદનનો બિઝનેસ બ્રિટન સહિત અન્ય દેશોમાં વિસ્તારવાના ઉદ્દેશથી અહીં આવ્યો છું. ટૂંક સમયમાં જાહેરાત કરાય એવી શક્યતા નકારી ન શકાય. જોકે હાલના દબાણભર્યા સંજોગોને કારણે ભારત પાછો આવતાં થોડો વધારે વખત પસાર થઈ શકે છે.’