10 September, 2025 09:50 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
નેપાળનાં પૂર્વ સીજેઆઈ સુશીલા કાર્કી વચગાળાના વડાપ્રધાન બની શકે છે. તેમના નામે જેન-ઝી પ્રદર્શકો સંમત થતા જોવા મળી રહ્યા છે. આ પહેલા કાઠમાંડૂ મેયર બાલેન શાહનું નામ પમ આ રેસમાં આગળ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.
નેપાળમાં તખ્તાપલટ અને કાતિલ હિંસા બાદ હવે નવી સરકારની રાહ જોવામાં આવી રહી છે. જેન-ઝી પ્રદર્શકો પહેલા કાઠમાંડૂના મેયર બાલેન શાહે દેશની કમાન આપવા માગતા હતા, પણ હવે નવું નામ સામે આવ્યું છે. પ્રદર્શકો નેપાળનાં પૂર્વ સીજેઆઈ સુશીલા કાર્કીને વચગાળાના વડાપ્રધાન બનાવવા માગે છે. આ દાવો નેપાળના સુપ્રીમ કૉર્ટ બાર એસોસિએશનના સચિવે કર્યો. નેપાળની વચગાળાની સરકારના લીડરની પસંદગી કરવા માટે આયોજિત કરવામાં આવેલી એક વર્ચ્યુઅલ મીટિંગમાં લગભગ પાંચ હજારથી વધારે જેન-ઝી યુવાનો સામેલ થયા. આમાં સુશીલા કાર્કીને સૌથી વધારે સમર્થન મળ્યું. તેમનું ભારત સાથે પણ કનેક્શન છે. હકીકતે, કાર્કીએ બનારસ હિંદૂ યૂનિવર્સિટીમાંથી (BHU) પોસ્ટ ગ્રેજ્યુએશનની એટલે કે અનુસ્નાતકની ડિગ્રી મેળવી છે.
ભ્રષ્ટાચાર સહિત અનેક મુદ્દાઓ પર નેપાળ છેલ્લા ત્રણ દિવસથી સળગી રહ્યું છે. કેપી ઓલીને વડા પ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું, ત્યારબાદ બાલેન શાહનું નામ સામે આવ્યું હતું, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ વિરોધીઓની માંગણી સાથે સંમત ન થયા, જેના પછી અન્ય નામો પર વિચારણા શરૂ થઈ. સુશીલા કાર્કીના નામ પર સર્વસંમતિ હોવાનું જણાય છે.
સુશીલા કાર્કી કોણ છે?
૭ જૂન, ૧૯૫૨ના રોજ નેપાળના બિરાટનગરમાં જન્મેલી સુશીલા કાર્કી નેપાળની ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ છે. તે નેપાળની પ્રથમ અને એકમાત્ર મહિલા સીજેઆઈ છે. તેમણે ૨૦૧૬માં સીજેઆઈ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. બિરાટનગરના કાર્કી પરિવાર સાથે સંકળાયેલી સુશીલા કાર્કી તેના માતાપિતાના સાત બાળકોમાં સૌથી મોટી છે.
૧૯૭૨માં, તેમણે બિરાટનગરમાં જ મહેન્દ્ર મોરાંગ કેમ્પસમાંથી બીએની ડિગ્રી મેળવી હતી. આ પછી, ૧૯૭૫માં, તેમણે વારાણસીની બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં પીજી કર્યું હતું. ૧૯૭૮માં, તેમણે ફરીથી ત્રિભુવન યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી. ૧૯૭૯માં તેમણે બિરાટનગરમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો અને પછી સહાયક શિક્ષક તરીકે પણ કામ કર્યું. ૨૦૦૯માં, તેમને નેપાળની સુપ્રીમ કોર્ટમાં એડહોક જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ૨૦૧૬માં, તેઓ તેમના દેશના CJI બન્યા અને ૭ જૂન, ૨૦૧૭ સુધી આ પદ પર રહ્યા.
શું હતી ઘટના?
સોમવારે સવારે, 19 વિરોધીઓના મૃત્યુથી ગુસ્સે ભરાયેલા ટોળાએ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનના અંગત નિવાસસ્થાનોને આગ ચાંપી દીધી હતી અને મંત્રીઓને તેમના ઘરોમાં બંધક બનાવ્યા હતા, ત્યારબાદ તેમને હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. પડોશી દેશ નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સાથે શરૂ થયેલી બળવાની આગ હવે સમગ્ર નેપાળમાં ભડકે બળી રહી છે. પરિસ્થિતિ એવી છે કે નવી પેઢીના યુવાનો હાથમાં પથ્થરો અને લાકડીઓ લઈને નેપાળના તમામ વિસ્તારોમાં ફરતા હોય છે. પોલીસ તેમને કાબૂમાં લેવા માટે પરસેવો પાડી રહી છે. તેમણે સંસદ ભવનમાં ઘૂસીને આગ લગાવી અને મહત્ત્વપૂર્ણ બંધારણીય હોદ્દા ધરાવતા હાઇ-પ્રોફાઇલ લોકોના ઘરોમાં તોડફોડ કરી.