સાઉદીના ટોચના પ્રધાનોની નરેન્દ્ર મોદી સાથે મુલાકાત

30 October, 2019 10:52 AM IST  |  રિયાધ

સાઉદીના ટોચના પ્રધાનોની નરેન્દ્ર મોદી સાથે મુલાકાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરબના રિયાધમાં જૉર્ડનના કિંગ અબદુલ્લાહ-બીજાની સાથે મુલાકાત કરી હતી. તસવીર : પી.ટી.આઇ.

સાઉદી અરેબિયાના ટોચના પ્રધાનો મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને ઊર્જા, શ્રમ, કૃષિ તથા જળ તકનિક જેવાં ક્ષેત્રોમાં દ્વિપક્ષી જોડાણને મજબૂત બનાવવા માટેના માર્ગો વિશે ચર્ચા કરી હતી.

ઊર્જાપ્રધાન પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સલમાન, શ્રમ અને સામાજિક વિકાસ મંત્રી અહેમદ બિન સુલેમાન અલરાજહી તથા પર્યાવરણ, જળ અને કૃષિ પ્રધાન અબ્દુલ રહેમાન બિલ અબ્દુલ મોહસિન અલ-ફદલી સહિતના પ્રધાનો સાઉદીની રાજધાનીમાં વડા પ્રધાન મોદીને મળ્યા હતા.

સાઉદી ઊર્જાપ્રધાનની મોદી સાથેની બેઠક ફળદાયી રહી હતી અને બન્ને નેતાઓએ બે રાષ્ટ્રો વચ્ચે ઊર્જા સહકારમાં સુધારો લાવવાના પ્રયાસ વિશે વાતચીત કરી હતી એમ પીએમઓએ ટ્વીટ કર્યું હતું.

બન્ને દેશોએ મહારાષ્ટ્રના રાયગડમાં મહત્ત્વાકાંક્ષી વેસ્ટ કોસ્ટ રિફાઇનરી પ્રોજેક્ટ પર આગળ વધવાનું નક્કી કર્યું છે ત્યારે આ બેઠક ઘણું મહત્ત્વ ધરાવે છે. આ પ્રોજેક્ટમાં સાઉદીની અગ્રણી ઑઇલ કંપની અરામકો, યુએઈની અબુ ધાબી નૅશનલ ઑઇલ કંપની અને ભારતીય જાહેર ક્ષેત્રની ઑઇલ કંપનીઓના રોકાણનો સમાવેશ છે.

ભારત વિશ્વમાં ઑઇલનું ત્રીજા ક્રમનું સૌથી મોટું વપરાશકર્તા છે. એ ઑઇલની કુલ જરૂરિયાત પૈકી ૮૩ ટકા ઑઇલની આયાત કરે છે. સાઉદી અરેબિયા ઇરાક પછીનું એનું બીજા ક્રમનું સૌથી મોટું સપ્લાયર છે. ૨૦૧૮-’૧૯ના નાણાકીય વર્ષમાં એણે ભારતને ૪૦.૩૩ મિલ્યન ટન ક્રૂડ ઑઇલ ભારતને વેચ્યું હતું, જ્યારે દેશે ૨૦૭.૩ મિલ્યન ટન ઑઇલની આયાત કરી હતી.
ભારત દર મહિને સાઉદી અરેબિયા પાસેથી આશરે ૨૦૦૦૦૦ ટન એલપીજીની ખરીદી કરે છે.

બાહ્ય બાબતોના મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીને પર્યાવરણ, જળ અને કૃષિપ્રધાન સાથે જળ તકનિકો, ફૂડ પ્રોસેસિંગ તથા કૃષિ ક્ષેત્રમાં સહકાનાં નવાં ક્ષેત્રો શોધવા વિશે ઉપયોગી ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો : 1000 વર્ષ જૂનું ઓકનું વૃક્ષ ઇંગ્લૅન્ડના ટ્રી ઑફ ધ યર તરીકે પસંદગી પામ્યું

રિયાધમાં સાઉદી અરેબિયાના રાજા અને મોદીના આતંકવાદ પર પ્રહાર

ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સાઉદી અરેબિયાના રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝે આતંકવાદને વખોડવા સાથે દ્વિપક્ષી સુરક્ષા સહકાર વધારવા માટે સંમતિ દર્શાવી હતી. સાઉદી અરેબિયાની ત્રીજી હાઈ પ્રોફાઇલ ઍન્યુઅલ ફાઇ‌નૅન્શિયલ કૉન્ફરન્સમાં હાજરી આપવા માટે રિયાધ ગયેલા નરેન્દ્ર મોદીએ ગઈ કાલે રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝ સાથે મંત્રણા કરી હતી. મંત્રણા અને મોદીના માનમાં રાજાએ યોજેલા ભોજન સમારંભ બાદ પ્રસાર માધ્યમોને સંબોધતાં ભારત સરકારના આર્થિક સંબંધોના વિભાગનો અખત્યાર સંભાળતા સચિવ ટી. એસ. તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે ‘આતંકી પ્રવૃત્તિઓને તમામ રૂપોમાં વખોડવા અને દ્વિપક્ષી સુરક્ષા સહયોગ કરાર કરવા ઉપરાંત બન્ને નેતાઓએ કૃષિ, તેલ અને વાયુ, દરિયાઈ સુરક્ષા, અદ્યતન ટેકનૉલૉજી, સંરક્ષણ ઉદ્યોગ, રિન્યુએબલ એનર્જી, એર સર્વિસિસ, ઔષધીય ઉત્પાદન નિયમન, કૅફી દ્રવ્યોની હેરાફેરી પર નિયંત્રણ વગેરે ક્ષેત્રોમાં સહયોગાત્મક કરાર કરવામાં આવ્યા હતા.

riyadh saudi arabia narendra modi india