08 August, 2020 01:47 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
શિલ્પા ભટ્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ઑગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કર્યો. જેના કારણે દેશભરમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. તે દરમિયાન અમદાવાદની એક મહિલા શિલ્પા ભટ્ટ ચર્ચામાં આવી હતી. ખરેખર, શિલ્પા ભટ્ટે કંઇક અલગ કર્યું, જેના લોકો વખાણ કરી રહ્યા છે.
શિલ્પા ભટ્ટે અમદાવાદમાં ભગવાન શ્રીરામનું ચૉકલેટનું મંદિર બનાવ્યું છે. શિલ્પા ભટ્ટ એક ચૉકલેટ મેકર છે. શિલ્પાએ 15 કિલો ચૉકલેટથી ભગવાન શ્રીરામના મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરી છે. જોવામાં તો એકદમ અયોધ્યાના રામ મંદિર જેવી છે. 15 કિલો ચૉકલેટના આ મંદિરને બનાવવામાં શિલ્પાને 12 કલાકનો સમય લાગ્યો છે. આમાં ચૉકલેટના પિલર્સ અને ગર્ભગૃહ બનાવવામાં આવ્યું છે. તેની સાથે રામ મંદિર જેવું પૂર્ણ માળ પણ તૈયાર કરવામાં આવ્યું છે.
શિલ્પા ભટ્ટનું કહેવું છે કે તેઓ આ મંદિર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ તરીકે આપવા માંગે છે. વડાપ્રધાનની ઈચ્છાશક્તિના કારણે આજે રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે. એવામાં આ ચૉકલેટ મૉડલને તેઓ વડાપ્રધાનને ભેટ રૂપે આપવા માંગે છે. જો આ ચૉકલેટ મૉડલ વડાપ્રધાન સુધી પહોંચાડી ન શકાય, તો તે ભગવાન રામના પ્રસાદ તરીકે નાના બાળકોને વહેંચવામાં આવશે. શિલ્પા ભટ્ટ આ રીતે ચૉકલેટથી અલગ-અલગ પ્રતિકૃતિઓ બનાવે છે. છેલ્લા 4 વર્ષથી તે ચૉકલેટ વસ્તુઓ બનાવે છે.