02 December, 2020 04:10 PM IST | Gujarat | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્યઃ એએનઆઈ
ગુજરાતમાં શિયાળાએ જોર પકડતા સ્થળાંતરિત પક્ષીઓ સુરતમાં આવવા લાગ્યા છે. ચોકલેટી રંગના દેખાતા પક્ષીઓને જોવાનો અનેરો લહાવો છે. આ મહામારીના વર્ષમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળના તટીય વિસ્તારમાં વિવિધ પ્રકારના સ્થળાંતરિત પક્ષીઓ જોવા મળ્યા છે.
આ વર્ષની શરૂઆતમાં ગુજરાત સરકારે કહ્યું હતું કે, રાજ્યમાં સ્થળાંતરિત પક્ષીઓના આગમનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ગુજરાતનો તટીય વિસ્તાર 1650 કિલોમીટર લાંબો છે.
ચોકલેટી રંગના આ નાના પક્ષી એશિયાના મધ્ય ભાગમાંથી આવ્યા હોવાનું કહેવાય છે. દર વર્ષે શિયાળામાં સમુદ્રના માર્ગે આ પક્ષીઓ ગુજરાતના તટીય વિસ્તારમાં આવે છે.
રિપોર્ટ મુજબ ગુજરાત વન વિભાગે કહ્યું કે, નલ સરોવર અને થોલ બર્ડ અભિયારણમાં આ પક્ષીઓની સંખ્યા નોંધપાત્ર વધી છે.
બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના કહેવા પ્રમાણે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ફ્લેમિંગો પણ 25 ટકા વધ્યા છે. આ વર્ષે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં જ 1.5 લાખ પક્ષીઓ આવ્યા છે.