07 November, 2019 03:24 PM IST | Vadnagar
તાનારીરી મહોત્સવની એક ઝલક
ઉત્તર ગુજરાતના વડનગરમાં 2003થી તાનારીરી મહોત્સવની શરૂઆત થઈ હતી. સંગીત સામ્રાજ્ઞીની યાદમાં કારતક મહિનાની નોમ અને દસમના દિવસે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારથી આજ સુધીમાં આ મહોત્સવમાં અનેક વર્લ્ડ રેકૉર્ડ તૂટી ચુક્યા છે.
ગુજરાત સરકારે દાવો કર્યો છે કે ગઈકાલે મહોત્સવના પ્રથમ દિવસે કલાવૃંદે ત્રણ અલગ અલગ ક્ષેત્રમાં વર્લ્ડ રેકૉર્ડ સ્થાપિત કર્યા છે. જેમાં 150 તબલા વાદકોના 28 તાલ સાથે યુવતીએ એક મિનિટમાં નવ રસ અનુસાર ચહેરા પર હાવભાવ લાવ્યા. આ સમારોહમાં 108 વાંસળી વાદકોએ રાગ ખમાજ પર વૈષ્ણવ જન અને રાષ્ટ્રગીતની ધૂન વગાડીને નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે. ઉત્તર ગુજરાતના વડનગરમાં કળા અને સંસ્કૃતિનો વારસો છે. અહીં આદિકવિ નરસિંહ મહેતાના દોહિત્રી શર્મિષ્ઠાની દિકરીઓ તાના અને રીરીએ સંગીતની આરાધના કરી હતી.
આ પણ જુઓઃ આ પાંચ કારણથી તમારે જોવી જોઈએ ફિલ્મ 'હેલ્લારો'
અકબર બાદશાહના નવ રત્નોમાંથી સંગીત સમ્રાટ તાનસેનને દીપક રાગ ગાવાથી ઉત્પન્ન થયેલી બળતરાને શર્મિષ્ઠા તળાવના કિનારે તાના અને રીરીએ મલ્હાર રાગ ગાઈને શાંત કર્યો હતો. કલાના સન્માન માટે સંગીતની આ જોડી આત્મબલિદાન કરીને ઈતિહાસમાં અમર થઈ ગઈ. આ બહેનોની યાદમાં વડનગરમાં તાનારીરી સંગીત મહોત્સવ આયોજિત કરવામાં આવી છે. જેમાં દેશના જાણીતા કલાકારો કળા રજૂ કરે છે.