ગુજરાત: 15 જિલ્લામાં સૌથી વધુ સાવચેતી : આજે પણ તોફાની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

18 May, 2021 11:33 AM IST  |  Rajkot | Rashmin Shah

ગુજરાતમાં તાઉ-તે સાઇક્લોનનું વિનાશક પવન અને તોફાની વરસાદ સાથે લૅન્ડફોલ

કિનારો ઓળંગવા નહીં દઉં- વેરાવળમાં ગઈ કાલે વાવાઝોડાના ખતરાને જોતા લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની ચેતવણી પોલીસ તથા એનડીઆરએફના જવાનો દ્વારા આપવામાં આવી હતી, પરંતુ જાણે દરિયાને પણ કિનારો ન ઓળંગવા દેવાની ચેતવણી પોલીસ આપતી હોય એવું જણાઈ રહ્યું છે. પી.ટી.આઇ.

ગુજરાતમાં જનતા એક તરફ કોરોનાની મહામારીનો હિંમતથી સામનો કરી રહી છે ત્યાં બીજી બાજુ મહા-વિનાશક તાઉ-તે વાવાઝોડાનું ગઈ કાલે મોડી રાતે લૅન્ડફોલ થતાં રાજ્યમાં સ્થિતિ વધુ ગંભીર અને ચિંતાજનક બની હતી. મોડી રાત્રે ૧.૦૦ સુધી લૅન્ડફોલની પ્રક્રિયા ચાલવાની સંભાવના વચ્ચે સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં કલાકે ૧૦૦થી ૧૩૦ કિલોમીટરની ઝડપે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા પણ હોવાથી સરકારી તંત્ર સાબદું થઈ ગયું હતું.

બે દિવસ પહેલાં જે ગુજરાત કોરોનાના કેર સામે લડતું હતું એ ગુજરાતે તાઉ-તે સાઇક્લોનની સામે પણ ઝઝૂમવું પડ્યું. ગઈ કાલે સાંજે તેર કિલોમીટરની ઝડપે દીવ તરફ ધસમસતા તાઉ-તેનો લૅન્ડફૉલ લગભગ નક્કી હતો એવું જોઈને ગુજરાતના તમામ અધિકારી અને પદાધિકારીઓને ઑન-ડ્યુટી રાખવામાં આવ્યા હતા. લૅન્ડફૉલ સમયે દીવથી છેક રાજકોટ અને અમદાવાદ સુધીના વિસ્તારમાં ભારે પવન સાથે અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના ઍડિશનલ ચીફ સેક્રેટરી પંકજકુમારે ગઈ કાલે બપોરે કહ્યું હતું કે ‘સાઇક્લોન વધારે પ્રભાવી બન્યું. જે ઝડપે એ આગળ વધે છે એ જોતાં આ સાઇક્લોન વિશે વેધર ડિપાર્ટમેન્ટે આગાહી કરી છે કે સાઇક્લોનના રૂટમાં આવતા વિસ્તારમાં જાનમાલને નુકસાન થઈ શકે અને અતિભારે વરસાદ પડી શકે. ગુજરાત સરકારે અત્યારની આ સિચુએશનને ગ્રેટ ડેન્જર સિચુએશન જાહેર કરી છે. નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યા છે અને દરિયાકિનારાના વિસ્તારને નો-મેન-લૅન્ડ જાહેર કર્યા છે.’

સાઇક્લોનના લૅન્ડફૉલની સીધી અસરમાં આવતા ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, અમદાવાદ, આણંદ, મોરબી, સુરત, વલસાડ, ભરૂચ અને નવસારી જિલ્લાઓ પૈકીના જે જિલ્લામાં સીધી અસર થતી હશે ત્યાં ૧પપથી ૧૬પ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો અન્ય જિલ્લામાં સિત્તેર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 

ગુજરાતના પંદર જિલ્લામાં લોકોને આવતા બે દિવસ સુધી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. ઇમર્જન્સીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સની ૪૪ અને સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સની આઠ ટીમને સ્ટૅન્ડ બાય રાખવામાં આવી છે. 
સાઇક્લોનિક રૂટ મુજબ તાઉ-તે સોમવારે રાતે આઠથી અગિયાર વચ્ચે પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી પસાર થાય એવી પ્રબળ સંભાવના હતી. પરિસ્થિતિને જોતાં ગુજરાતના તમામ પોર્ટ અને દરિયાઈ વિસ્તારમાં શનિવાર સુધી જે ચાર નંબરનું સિગ્નલ હતું એ સીધું જ નવ અને દસ નંબરનું સિગ્નલ કરવામાં આવ્યું છે.

આ અગાઉ બે વખત ૨૦૦૬ અને ૨૦૧૯માં ગુજરાતમાં સાઇક્લોન ભયજનક રીતે નજીક પહોંચી ગયું હતું પણ એનો લૅન્ડફૉલ થાય એ પહેલાં જ એ વળી જતાં ભય ટળી ગયો હતો, જ્યારે ૨૩ વર્ષ પહેલાં ૧૯૯૮ની ૯ જૂને કંડલામાં સાઇક્લોન ત્રાટક્યું હતું, જેમાં ૧૧૭૩ લોકોના જીવ ગયા અને અઢી હજારથી વધુ લોકો ગુમ થયા હતા, જેમનો આજ સુધી પત્તો લાગ્યો નથી. એ સમયે કંડલા પોર્ટ પર રાખવામાં આવેલી હજારો ટનની શિપ છેક તણાઈને પોર્ટ પર આવી ગઈ હતી. ૧૯૯૮ના સાઇક્લોનમાં ગુજરાતને દસ હજાર કરોડનું નુકસાન થયું હતું.
એ સાઇક્લોન પછી કંડલાને ફરી બેઠું કરવા માટે સરકારે લગાતાર ચાર મહિના મહેનત કરી હતી.

વેન્ટિલેટર માટે ખાસ વ્યવસ્થા
સાઇક્લોન જ્યારે નજીક આવી ગયું એ જોતાં ગુજરાત સરકારે કોવિડ પેશન્ટ્સને ધ્યાનમાં રાખીને વેન્ટિલેટર પર છે એ પેશન્ટને વાંધો ન આવે એની તકેદારીના ભાગરૂપે ગુજરાતની તમામ હૉસ્પિટલને સજ્જ કરી દીધી છે. સિવિલ હૉસ્પિટલમાં જનરેટર અને એ માટે જરૂરી એવા ડીઝલનો સ્ટૉક કરવામાં આવ્યો છે તો સાથોસાથ હૉસ્પિટલને જ્યાંથી પાવર સપ્લાય મળતી હોય એ સબ સ્ટેશન પર બે ટીમ પણ તહેનાત રાખી છે, જે પાવર સપ્લાય કટ થતાં જ તાત્કાલિક અને યુદ્ધના ધોરણે પાવર સપ્લાય ચાલુ કરવાના કામે લાગશે.

36 કિલોમીટરનો વ્યાસ સાઇક્લોનનો 

લૅન્ડફૉલ પછી સાઇક્લોનનો વ્યાસ 75 કિલોમીટરનો થઈ શકે છે

લૅન્ડફૉલ પછી 240 કિલોમીટરમાં એની આજે સાંજના સમય સુધી અસર દેખાશે

15 થી 20 ઇંચ જેટલો વરસાદ લૅન્ડફૉલવાળા વિસ્તારમાં આજે સાંજ સુધીમાં જોવા મળી શકે છે

જો દોઢસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચાલે તો 5 કલાકમાં રાજકોટથી મુંબઈ પહોંચાડી દે

590 ઍમ્બ્યુલન્સ તૈયાર રખાઈ છે

8000 લોકોની જુદી-જુદી ટીમ રસ્તા પરથી ઝાડ ઉપાડવાના કામની જવાબદારીમાં

242 અર્બન ડેવ.ની વિભાગની ટીમ લાગી કામે

gujarat Gujarat Rains cyclone tauktae veraval Rashmin Shah