10 December, 2019 09:22 AM IST | Surat
પ્રતિકાત્મક તસવીર
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તાજેતરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનાં કામોની હાથ ધરેલી સર્વગ્રાહી પ્રગતિ સમીક્ષા બેઠક દરમિયાન સુરત મેટ્રો ટ્રેનનાં કામોની દરખાસ્ત અને કેન્દ્ર સરકારે આપેલી મંજૂરી સંદર્ભમાં વિશદ ચર્ચાવિચારણા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશનના એમડી એસ. એસ. રાઠૌરે પ્રોજેક્ટ અંગેની વિગતો મુખ્ય પ્રધાનને આપી હતી.
મેટ્રો રેલના મૅનેજિંગ ડિરેક્ટરે બેઠકમાં જણાવ્યું હતું કે સુરત મેટ્રો રેલ માટે ગુજરાત સરકારે રજૂ કરેલી ૧૨૦૨૦.૩૨ કરોડની દરખાસ્તને ગયા ફેબ્રુઆરી, ૨૦૧૯માં ભારત સરકારે મંજૂરી આપી દીધી હતી તેમ જ આ પ્રોજેક્ટ પાંચ વર્ષમાં પૂર્ણ કરવા પણ મંજૂરી પત્રમાં જણાવવામાં આવ્યું હતું. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની બાંધકામ કામગીરી જૂન, ર૦ર૦માં શરૂ થશે અને જૂન, ર૦ર૪માં એ પૂર્ણ કરવાનું આયોજન છે. સુરત મેટ્રો રેલ માટે જરૂરી ડીટેલ્ડ ડિઝાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમ જ ટેન્ડર તૈયાર કરવાની કામગીરી પણ કરવામાં આવી છે. સરથાણાથી ડ્રીમ સિટી ૨૧.૬૧ કિલોમીટરમાં ૧૪ એલિવેટેડ સ્ટેશન્સ રહેશે તથા ભેંસાણથી સરોલી ૧૮.૭૪ કિલોમીટરમાં ૧૮ એલિવેટેડ સ્ટેશન્સ રહેશે.
મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, મુખ્ય પ્રધાનના અગ્ર સચિવ એમ. કે. દાસ તેમ જ મેટ્રો રેલ કૉર્પોશનના અધિકારીઓ હાજર રહ્યા હતા.