13 April, 2019 04:13 PM IST | રાજકોટ
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં લોન અર્થે ગયેલા રાજકોટના બિલ્ડરના પુત્રના ગુમ થવાના સમાચાર આવી રહ્યા છે. શહેરના પ્રખ્યાત બિલ્ડરમાં જેનું નામ આવે છે એવા એક રાજકોટના મોટા ગજાના બિલ્ડર હાલ આર્થિક ભીંસમાં હતા જેથી તેમનો પુત્ર મુંબઈ લોન માટે ગયો હતો અને તે ટ્રેનથી પાછો રાજકોટ આવતો હતો ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશનેથી ભેદી સંજોગોમાં ગુમ થતાં અનેક તર્ક - વિતર્ક સર્જાઈ રહ્યા છે.
રાજકોટના જાણીતા જે.કે.હોલવાળા બિલ્ડર બાબુભાઈ સખીયાનો પુત્ર કિશોર સખીયા અમદાવાદ રેલવે સ્ટેશનથી ગુમ થઈ ગયો છે. મુંબઈથી ટ્રેનમાં રાજકોટ આવવા નીકળ્યો હતો. રાત્રે ૨ વાગ્યે તે અમદાવાદ પહોંચ્યા બાદ તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. કિશોર સખીયાના ગુમ થવા પાછળ ઘણા રહસ્યો હોવાનું જણાઈ રહ્યું છે. ગોંડલ રોડ પર કાંગશીયાળી પંથકમાં આસ્થા રેસીડેન્સી અને કલ્પવન નામની મોટી સાઈટ ધરાવતાં અને મોટા પ્રોજેકટ હાથ ઉપર લેનાર કિશોર સખીયા છેલ્લા ઘણા વખતથી નાણાકીય દબાણમાં હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે તેમજ તે મુંબઈ લોન અર્થે મુંબઈ ગયો હતો અને પરત ટ્રેનમાં રાજકોટ આવતો હતો ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશનેથી તે રહસ્યમય રીતે ગમુ થઈ ગયો છે.
આ પણ વાંચો: દિલ્હીમાં ભ્રષ્ટાચારની દુર્ગંધ નહી ઈમાનદારીની ખુશ્બુ આવે છે: CM રૂપાણી
આ ઘટનાથી બાબુભાઈના સગા-સંબંધીઓ તેમજ મિત્રો અને શુભચિંતકો તેમના ઘરે દોડી આવ્યા હતા અને આ બાબતે પોલીસ અધિકારીઓનો સંપર્ક કરતાં કિશોર સખીયાનો પતો લગાવવા પોલીસે પણ ગુપ્ત રીતે તપાસ શરૂ કરી છે અને મોબાઈલના કોલ ડિટેઈલની પણ તપાસ ચાલી રહી છે. આ બનાવ અપહરણનો લાગી રહ્યો છે કે પછી કિશોર સખીયા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે? તે મુદ્દે ચર્ચા જોવા મળી રહી છે.