09 March, 2020 06:30 PM IST | Mumbai Desk
શિવાનંદ ઝા, રાકેશ અસ્થાના
ગુજરાતમાં આ વર્ષમાં સિનિયર અધિકારીઓની નિવૃત્તિના કારણે સરકારમાં મોટા અનુભવી અધિકારીઓની ઘટ પડશે અને એની અસર રાજ્યના સંચાલનમાં પણ દેખાશે. હવે ગુજરાત સરકાર પોતાના ગણતરીના વિશ્વાસુ અધિકારીઓને કી-પોસ્ટ પર ગોઠવવા માટે પ્રયત્ન કરી રહી છે. ગુજરાતના પોલીસવડા શિવાનંદ ઝા નિવૃત્ત થવાના છે. પહેલાં શિવાનંદ ઝાને એક્સટેન્શન મળવા માટે વિચારવામાં આવતું હતું.
ખંભાતમાં થયેલી કોમી હિંસા, અમદાવાદમાં શાહઆલમ વિસ્તારમાં સીએએના વિરોધ દરમિયાન થયેલી હિંસામાં પણ પોલીસ પાંગળી સાબિત થઈ, જેના કારણે કેન્દ્રમાં અને અન્ય જગ્યાએ ગુજરાત પોલીસના નેતૃત્વમાં કોઈ ખામી હોવાની ચર્ચા છે એટલે હવે એક્સટેન્શનનો ઑર્ડર કાગળ જ રહી જાય એવું માનવામાં આવી રહ્યું છે. ત્યારે ડીજીપીના દાવેદાર સીધા આશિષ ભાટિયા છે એમ જ માનવામાં આવ્યું હતું. પરંતુ હવે આ બધાની વચ્ચે રાકેશ અસ્થાનાનું નામ બહાર આવી રહ્યું છે. રાકેશ અસ્થાના આશિષ ભાટિયા કરતાં સરકારની વધુ નજીક હોવાનું માનવામાં આવે છે. તાજેતરમાં રાકેશ અસ્થાનાને સીબીઆઇની તપાસમાં ક્લીન ચિટ મળી છે જેથી અસ્થાનાને હોવી ડેપ્યુટસન પારથી ગુજરાત પાછા લાવીને ગુજરાતના પોલીસ વડા બનાવાય એવાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.