રોગન આર્ટઃએક કલા જેણે ગજવ્યું ગામ !

11 January, 2019 11:20 AM IST  |  કચ્છ | Bhavin Rawal

રોગન આર્ટઃએક કલા જેણે ગજવ્યું ગામ !

તૈયાર થયા પછી આવો દેખાય છે આર્ટિકલ (તસવીર સૌજન્યઃ સુમર ખત્રી)

ઘરના ઓટલા પર એક વ્યક્તિ બેઠેલા છે. કોરું પણ રંગીન કપડું પાથરેલું છે. તેમની બાજુમાં મસાલિયા જેવો જુદા જુદા રંગોની ડબ્બી ભરેલો એક ડબ્બો પડ્યો છે. થોડીક થોડીક વારે આ ભાઈ એ ડબ્બામાંથી એક સળી લે છે, જેના પર જુદા જુદા રંગ રબ્બર જેવા પદાર્થમાં હોય છે. આ ભાઈ રંગ લે છે અને સાવ જ કોરા કપડા પર સડસડાટ ડિઝાઈન પાડવા લાગે છે. અને આ ડિઝાઈન એટલી સુંદર કે તમે આંખનો પલકારો ન મારી શકો. ન તો તેમને કપડા પર અગાઉથી ડિઝાઈન ચિતરવાની જરૂર પડે છે. ન તો તેમનો હાથ અટકે છે. ન તો કપડું બગડે છે, કે ન તો ભૂંસવું પડે છે. બસ એકવાર હાથ ફરવાનો શરૂ થાય તો રંગ ખૂટે ત્યારે અથવા તો ડિઝાઈન પૂરી થાય ત્યારે અટકે. આ અદભૂત કલા અટલે કચ્છની રોગન આર્ટ.

આ ઘટના છે કચ્છના નિરોણા ગામની. ભૂજથી  લગભગ 40 કિલોમીટર દૂર આવેલું નિરોણા ગામ કેટલાક વર્ષો પહેલા ખાસ જાણીતું નહોતું. આજે તો કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની આ ગામને દત્તક લઈ ચૂક્યા છે. આ ગામને વિશ્વ સ્તરે ઓળખ અપાવી રોગન આર્ટે. એટલે સુધી કે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ભેટ આપવા માટે પણ વડાપ્રધાન મોદીએ તેના પર પસંદગી ઉતારી હતી.

રોગન આર્ટિકલ

કેવી રીતે બને છે આર્ટિકલ ?

જે કપડા પર રોગન આર્ટ બનાવવામાં આવે તેને આર્ટિકલ કહેવામાં આવે છે. ખત્રી પરિવાર રોગન પેઈન્ટિંગ બનાવવા માટે એરંડિયાના તેલનો ઉપયોગ કરે છે. એરંડિયા તેલને બે દિવસ સુધી પકવવામાં આવે છે. ત્રીજા દિવસે તે ગુંદર જેવી જાડ્ડી જેલી બની જાય છે. બાદમાં તેમાં મિનરલ કલર મિક્સ કરવામાં આવે છે. મિનરલ કલર ફક્ત પાંચ જ બને છે. એટલે રોગન પેઈન્ટિંગમાં તમને કલર રિપીટ થતા જોવા મળશે. ખત્રી પરિવાર આ મિનરલ કલર અમદાવાદથી ખરીદે છે. જો કે આ આખીય પ્રક્રિયામાં ખાસ વાત છે કે મિનરલ કલરને એરંડિયા તેલની જેલીમાં મિક્સ કેવી રીતે કરવી. આમ કરવામાં ખત્રી પરિવારની માસ્ટરી છે.

આ તો માત્ર તૈયારી છે. ખરો ખેલ તો હવે શરૂ થાય છે. કલર તૈયાર થઈ ગયા પછી આવે છે ચિત્ર દોરવાની વાત. જેમાં કલાકાર એક કોરું કપડું લઈને, સળી પર કલર લગાવી તેનાથી ચિત્ર તૈયાર કરે છે. આખા રોગન આર્ટની સૌથી વધુ ખાસ વાત અહીં જ છે કે વગર કોઈ ડિઝાઈને કપડાં પર ચિત્ર તૈયાર થાય છે. અને ન તો તેમાં ક્યાંય ભૂલ હોય છે, ન તો તે બગડે છે.

નરેન્દ્ર મોદી અને ગફુરભાઈ

કેટલા ટાઈમમાં તૈયાર થાય આર્ટિકલ ?

રોગન આર્ટનો એક આર્ટિકલ બનાવતા ઓછામાં ઓછા 8થી 9 દિવસનો સમય જાય છે. પહેલા તો પેઈન્ટિંગ બનાવવા માટેનો કલર તૈયાર થતાં જ ચાર દિવસ થાય પછી નાનામાં નાનો વૉલપીસ ડ્રો કરી, તેને સૂકવીને કલર પૂરતા બીજા ચાર દિવસ થાય. જો થોડું ઝીણું કામ હોય એટલે કે ડિટેઈલમાં ડિઝાઈન તૈયાર કરવાની હોય તો એક આર્ટિકલ કે વૉલપીસ પાછળ સ્હેજેય 12-13 દિવસ જતા રહે છે. રોગન પેઈન્ટિંગ બનાવતા સુમરભાઈનું કહેવું છે કે અમે એક વૉલપીસ કે એક આર્ટિકલ એકાદ વર્ષનો સમય આપીને પણ બનાવેલો છે, જો મ્યુઝિયમ પીસ હોય જેમાં ખાસ એફર્ટ આપવાના હોય તો એકાદ વર્ષનો સમય પણ જતો રહે. એટલે કે જેટલું સુંદર અને ડિટેઈલ કામ એટલો સમય વધારે.

ખત્રી પરિવાર જ જાણે છે રોગન આર્ટ બનાવવાની કલા

માત્ર એક જ પરિવાર બનાવે છે આર્ટિકલ

રોગન આર્ટની બીજી ખાસિયત એ છે કે આ આર્ટિકલ બનાવવાની કલા માત્ર એક જ પરિવારને આવડે છે. નિરોણામાં વસતા ખત્રી પરિવાર પાસે જ માત્ર આ ટેલેન્ટ છે. આ જ પરિવારના સુમરભાઈના કહેવા પ્રમાણે આ કલા લગભગ 300 વર્ષ કરતાય જૂની છે. જેને ખત્રી પરિવારે સાચવી રાખી છે. ખૂબ જ સંઘર્ષ પછી ખત્રી પરિવારની મહેનત રંગ લાવી છે. આજે તો રોગન આર્ટની માગ વિશ્વ સ્તરે છે. ખત્રી પરિવાર 2010થી રોગન આર્ટની ટ્રેનિંગ સ્કૂલ પણ ચલાવે છે, જેમાં 300થી વધુ યુવતીઓને આ પેઈન્ટિંગ બનાવવાની તાલીમ આપી ચૂકી છે. અત્યાર સુધી માત્ર પુરુષો જ રોગન આર્ટ બનાવતા હતા, પરંતુ ખત્રી પરિવારે યુવતીઓને પણ આ કલા શીખવી છે.

શું શું બને છે ?

રોગન આર્ટના આર્ટિકલ મુખ્યત્વે કપડા પર જ બને છે. મોટા ભાગે આમ તો તેના વૉલપીસ તૈયાર થાય છે. તો હાથ વણાટની સાડી બને છે. તો યુવતીઓ માટેના પંજાબી, કલકત્તી જેવા ડ્રેસ પણ બને છે. હવે તો ખત્રી પરિવારે રોગન આર્ટને મોબાઈલ કવરમાં પણ સમાવી લીધી છે. સામાન્ય વૉલપીસની કિંમત 8 હજારથી શરૂ થાય છે. પછી જેવો આર્ટિકલ તેટલી કિંમત વધું. સુમર ભાઈનું કહેવું છે કે તેમનો પરિવાર 3 લાખની કિંમત સુધીનો વૉલપીસ પણ બનાવી ચૂક્યો છે.

કેવી રીતે સચવાઈ કલા ?

આજે ખત્રી પરિવારની આઠમી પેઢીએ આ કલા પહોંચી છે. આજથી લગભગ 30 વર્ષ પહેલા રોગન પેઈન્ટિંગ એક આર્ટ નહોતું, તેમનો પરિવાર ઘરગથ્થું કામ કરતો હતો. રફ કામ થતું હતું. પરંતુ ખત્રી પરિવારના અબ્દુલ ગફૂરભાઈનો આ રોગનને આર્ટ સુધી પહોંચાડવામાં મોટો ફાળો છે. પોતાની કલાનું મહત્વ સમજતા અબ્દુલ ગફૂરે તેને આર્ટ ફોર્મ આપ્યું છે. 1985થી આ કલા આર્ટ ફોર્મમાં ડેવલપ થઈ. અબ્દુલ ગફૂરભાઈ પાસે તેને પ્રમોટ કરવા પૈસા નહોતા. અરે આર્થિક સ્થિતિ એટલી નબળી કે રહેવા માટે મકાન નહોતું. આવી સ્થિતિમાં હિંમત હાર્યા વગર મજૂરી કરીને તેમણે પૈસા ભેગા કર્યા અને કલાને જીવાડી. આજે આઠમી પેઢીએ આ કલા તેમના પરિવારને આર્થિક રીતે સદ્ધર બનાવી રહી છે. સાથે જ દેશ દુનિયમાં કચ્છ અને ગુજરાતને ગૌરવ અપાવી રહી છે.

ખત્રી પરિવારની દિવાલ પર ઝળકે છે ગૌરવ

મળી ચૂક્યા છે સંખ્યાબંધ એવોર્ડ

અબ્દુલ ગફૂર ભાઈની આ જ મહેનતને કેન્દ્ર સરકારે પણ સરાહનીય ગણાવી છે. 1997માં તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના હસ્તે તેમને નેશનલ એવોર્ડથી સન્માનવામાં આવ્યો હતો. તો 2003માં આ જ પરિવારના સુમર ખત્રીને તત્કાલીન રાષ્ટ્રપતિ કલામસાહેબના હસ્તે નેશનલ એવોર્ડ મળ્યો. 2012માં જુમ્મા દાઉદ ખત્રી પ્રણવ મુખર્જીના હસ્તે નેશનલ એવોર્ડ મળ્યો તો 2016માં આ જ પરિવારના ખત્રી આરબ હાસમને પણ ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે નેશનલ એવોર્ડ મળી ચૂક્યો છે. એટલે કે આ અદભૂત કલા, આ પરિવારની મહેનતને ચાર ચાર વખત રાષ્ટ્રીય સ્તરે સન્માનવામાં આવી છે.

વહીદા રહેમાન અને આશા પારેખ પણ લઈ ચૂક્યા છે નિરોણા ગામની મુલાકાત

આ પણ વાંચોઃ હજીયે ચગે છે આ વડીલોની પતંગ

સેલિબ્રિટીઝને પણ ગમે છે રોગન આર્ટ

પાટણના પટોળાની જેમ જ રોગન આર્ટ સેલિબ્રિટીઝને પણ પ્રિય છે. વડાપ્રધાન મોદીએ ઓબામાને જે આર્ટિકલ ભેટમાં આપ્યો હતો તેમાં કલ્પવૃક્ષની અંદર રાષ્ટ્રીય પક્ષી મોરની ડિઝાઈન બનાવાયેલી હતી. તો શેખર કપૂર, આશા પારેખ, વહિદા રહેમાન, હામીદ અન્સારી, સ્મૃતિ ઈરાની, શબાના આઝમી જેવા ખ્યાતનામ લોકો પણ જ્યારે કચ્છ આવ્યા છે, ત્યારે નિરોણાની ખાસ મુલાકાત રોગન આર્ટને જોવા માટે લઈ ચૂક્યા છે.

gujarat