05 July, 2019 11:02 AM IST | ગાંધીનગર
ગુજરાત માટે આજે મહત્વનો દિવસ છે. ગુજરાતની રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે આજે મતદાન ચાલી રહ્યું છે. અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની ખાલી પડેલી બેઠકો માટે આજે મતદાન ચાલી રહ્યું છે. 9 વાગ્યાથી શરૂ થયેલું મતદાન પૂર્ણ થયા બાદ સાંજે 5 વાગે મતગણતરી યોજાશે. મતદાન પ્રક્રિયા શરૂ થયા બાદ ભાજપના ધારસભ્યો મતદાન કરી ચૂક્યા છે. જ્યારે કોંગ્રેસના ધારસભ્યો ટૂંક સમયમાં મતદાન કરવા માટે પહોંચે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ભાજપે આ ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. તો ભાજપની જીત નક્કી હોવા છતાંય કોંગ્રેસે ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાને ઉમેદવાર બનાવ્યા છે. જો કે આ વખતે ક્રોસ વોટિંગની કોઈ શક્યતા નથી દેખાતી, તેમ છતાંય કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને પાલનપુરના બાલારામ રિસોર્ટમાં રાખ્યા હતા. જે હવે ગાંધીનગર પહોંચી ચૂક્યા છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ભરતસિંહ ડાભી, ધવલસિંહ ઝાલાના મત પર તમામ લોકોની નજર છે. તો અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસને મત આપે તેવી શક્યતા છે.