11 May, 2022 09:49 AM IST | Mumbai | Shailesh Nayak
ગુજરાતમાં કોરોનામાં ત્રણ લાખ લોકોએ દમ તોડ્યો હોવાનો રાહુલનો દાવો
અમદાવાદ ઃ કૉન્ગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં ગઈ કાલે દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ રૅલી સભાને સંબોધતાં આહવાન કર્યું હતું કે હવે જનતાએ, યુવાનોએ એકસાથે ઊભા થવું પડશે અને ડર્યા વગર લડવું પડશે, કૉન્ગ્રેસ તમારી સાથે છે. તેઓએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનારી ચૂંટણીમાં ગુજરાતમાં કૉન્ગ્રેસની સરકાર બનશે અને એમાં આદિવાસીઓનો અવાજ રહેશે. આદિવાસી ઇચ્છશે એ ગુજરાતની સરકાર કરશે. દાહોદમાં સભામાં બોલતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘આ એક આંદોલન-સત્યાગ્રહની શરૂઆત છે. જળ, જમીન, જંગલ ગુજરાત સરકારની નથી, મુખ્ય પ્રધાનની નથી, ગુજરાતના બિઝનેસમૅનની નથી, તમારી છે. જળ, જમીન, જંગલથી તમને ફાયદો મળતો નથી. ગુજરાતનો દરેક આદિવાસી આને ઊંડાણથી સમજે છે, કેમ કે તેણે રોજ આ વાતનો સામનો કરવો પડે છે. તમને કાંઈ મળ્યું નથી. ના સ્વાસ્થ્ય મળ્યું, ના રોજગાર મળ્યો. એટલા માટે અમે આ આંદોલન કર્યું છે. રાહુલ ગાંધીએ કોવિડની વાત છેડીને દાવો કર્યો હતો કે ગુજરાતમાં કોરોનામાં ત્રણ લાખ લોકોએ દમ તોડ્યો હતો.