28 February, 2025 08:19 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા પર પુષ્પો ચડાવીને ભાવાંજલિ અર્પીને નમન કર્યાં હતાં. એ સમયે તેમની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર હતા.
ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી અને સરદાર પટેલની વિરાટ પ્રતિમા પર પુષ્પો અર્પણ કરીને ભાવાંજલિ અર્પી હતી. રાષ્ટ્રપતિ સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવોએ પણ સરદાર પટેલની વિરાટ પ્રતિમાનાં દર્શન કર્યાં હતાં.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે જંગલ સફારી પાર્કની મુલાકાત લઈને પ્રાણીઓ અને પંખીઓ નિહાળ્યાં હતાં.
દ્રૌપદી મુર્મુએ સરદાર સરોવર ડૅમ અને જંગલ સફારી પાર્કની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જંગલ સફારી પાર્કમાં જૅગ્વાર, એશિયાઈ સિંહ, બેન્ગૉલ ટાઇગર, દીપડો જેવાં પ્રાણીઓ તેમ જ પક્ષીઘરમાં દેશ-વિદેશનાં વિવિધ પ્રજાતિનાં પક્ષીઓને નજીકથી નિહાળ્યાં હતાં.