પોલીસ-કમિશનરે રાતે 9 પછી દાંડિયાબજાર બ્રિજ પર બેસવા પર પ્રતિબંધ મૂક્યો

01 December, 2019 10:39 AM IST  |  Vadodara

પોલીસ-કમિશનરે રાતે 9 પછી દાંડિયાબજાર બ્રિજ પર બેસવા પર પ્રતિબંધ મૂક્યો

વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત

(જી.એન.એસ.) વડોદરા શહેરના નવલખી મેદાનમાં સામૂહિક દુષ્કર્મની બનેલી ઘટનામાં આરોપીઓની માહિતી આપનારને રૂપિયા 1 લાખના ઇનામની જાહેરાત પોલીસ કમિશનરે કરી છે. આ ઉપરાંત રાત્રે ૯ વાગ્યા બાદ દાંડિયાબજાર બ્રિજ પર બેસવા આવતા લોકો પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે બે દિવસ પૂર્વે નવલખી મેદાનમાં બનેલી ઘટના ગંભીર છે. પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ 8 ટીમો બનાવવામાં આવી છે અને આરોપીઓની માહિતી આપનારને રૂપિયા 1 લાખનું ઇનામ આપવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવલખી મેદાન મોટો જંગલ વિસ્તાર છે. જેમાં આવવા જવા માટે 30 થી 40 જગ્યાઓ છે. પોલીસ તંત્ર દ્વારા ડ્રોનની મદદથી આઇન્ડેટીફાઇ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આરોપીઓ જે રસ્તા ઉપરથી પસાર થયા હતા તે રસ્તા ઉપર જ્યાં સીસીટીવી હશે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે સાંજ પછી નવલખી મેદાનમાં અને દાંડિયા બજાર બ્રિજ ઉપર મોટી સંખ્યામાં લોકો બેસવા માટે આવે છે.

અગાઉ મેદાનમાં અને બ્રિજ ઉપર રાત્રે 9 વાગ્યા પછી બેસવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ લોકોની રજૂઆત બાદ રાત્રે 11 વાગ્યા સુધી બેસવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ બે દિવસ પૂર્વે બનેલી ઘટનાને ધ્યાનમાં લઈ હવે રાત્રે ૯ વાગ્યા બાદ નવલખી મેદાનમાં અને બ્રિજ ઉપર કોઈને બેસવા દેવામાં આવશે નહીં.

gujarat vadodara