વડા પ્રધાન ગુજરાતમાં ઊજવશે બર્થ-ડે નર્મદાનાં નીરને વધાવશે

16 September, 2019 08:18 AM IST  | 

વડા પ્રધાન ગુજરાતમાં ઊજવશે બર્થ-ડે નર્મદાનાં નીરને વધાવશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો જન્મદિવસ ગુજરાતમાં મનાવવાના છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં બે દિવસ (૧૬ અને ૧૭ સપ્ટેમ્બર) ગુજરાત પ્રવાસમાં આવી રહ્યા છે. આ સાથે તેઓ જન્મદિવસે સરદાર સરોવર ડૅમની ઐતિહાસિક સપાટીનો ઉત્સવ ‘નમામિ દેવી નર્મદે’ની ઉજવણી કરીને નર્મદાનાં નીરનાં વધામણાં કરશે.

પીએમ મોદીના ગુજરાત પ્રવાસ મામલે મળતી માહિતી પ્રમાણે નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસમાં ૧૬ સપ્ટેમ્બરે રાતે ૧૦ વાગ્યા પછી અમદાવાદ ઍરપોર્ટ પર આગમન થશે જ્યાં સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ સહિત મંત્રીમંડળ દ્વારા તેમનું સ્વાગત થશે. ત્યાર બાદ તેઓ ગાંધીનગરમાં આવેલા રાજભવનમાં રાત્રિરોકાણ કરશે.

બીજા દિવસે એટલે કે પોતાના જન્મદિવસે ૧૭ સપ્ટેમ્બરે માતા હીરાબાના વહેલી સવારે આશીર્વાદ લેવા જશે. ત્યાર બાદ સવારે ૭.૪૫ કેવડિયા હેલિપૅડ પર આગમન થયા બાદ ૮ વાગ્યે કેવડિયા પહોંચશે અને પીએમ મોદી સરદાર સરોવર ડૅમ પહોંચીને નર્મદા મૈયાનાં વધામણાં કરશે. સવારે ૯.૩૦થી વિવિધ વિકાસના પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવામાં આવશે. ત્યાર બાદ ૯.૩૦થી ૧૦ વાગ્યા સુધીમાં વિવિધ કાર્યક્રમો શરૂ થશે. ૧૧થી ૧૨ વાગ્યા સુધીમાં પબ્લિક મીટિંગ રાખવામાં આવી છે. બપોરે બે વાગ્યે ગાંધીનગર સચિવાલય ખાતે આવશે. પીએમ મોદી રાજભવન ખાતે આયોજિત વિશેષ બેઠકમાં હાજરી આપશે.

સમગ્ર ગુજરાતમાં નર્મદા નીર વધામણાં-મહાઆરતી કાર્યક્રમો યોજાશે. આ નિમિત્તે રાજ્યમાં ૧૦૦૦થી વધુ સ્થળોએ સાધુ-સંતો, સમાજસેવી સંસ્થાઓ, શ્રેષ્ઠીઓ અને નાગરિકોની ભાગીદારીમાં મહાનગરો, નગરો તેમ જ જિલ્લા અને તાલુકા મથકોએ લોકમાતા નર્મદા મૈયાની મહત્તા અને ગુણગાન કરતો આ મહોત્સવ ઉમંગ-ઉલ્લાસથી ઉજવાશે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૭ સપ્ટેમ્બરે નર્મદા ડૅમનો હેલિકૉપ્ટરમાંથી આકાશી નજારો નિહાળશે. બાદમાં નર્મદા બંધ પર નર્મદા મૈયાનાં શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરી વધામણાં કરશે. તેમ જ જનસભા પણ સંબોધશે.

પીએમના જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં ‘સેવા સપ્તાહ’ ની ઉજવણી કરવા જઈ રહી છે. આ સેવા સપ્તાહ અંતર્ગત ૧૪થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન બીજેપી સફાઈ ઝુંબેશ, પર્યાવરણ બચાવો અભિયાન, વૃક્ષારોપણ તથા મેડિકલ કૅમ્પ જેવા સેવાકીય કાર્યક્રમો યોજશે.

આ પણ વાંચો: ગુજરાતમાં 60% મહિલાઓ હેર સ્ટાઇલ ન બગડે એટલે હેલ્મેચ નથી પહેરતી

નોંધનીય છે કે વડા પ્રધાન મોદીએ ૨૦૧૪માં બીજેપીની સરકાર આવ્યાના માત્ર ૧૭ જ દિવસમાં નર્મદા બંધ પર દરવાજા મૂકવાની મંજૂરી આપી હતી. ત્યાર બાદ ૨૦૧૫માં ૩૦ દરવાજા લાગાવવામાં આવ્યા હતા, જેને બંધ કરવાની મંજૂરી ૨૦૧૭માં મળી હતી. હાલ નર્મદા ડૅમમાં પાણીની સપાટી ૧૩૮ મીટરને પાર થઈ છે.

gujarat