17 September, 2026 12:27 PM IST | Vadnagar | Gujarati Mid-day Correspondent
પટનામાં ૭૬ કિલો દૂધથી નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફનો અભિષેક
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આજે ૭૬મી વર્ષગાંઠ છે તેમ જ તેમના જનસેવાથી રાષ્ટ્રસેવાનાં પચીસ વર્ષના ઉપલક્ષમાં સમગ્ર દેશમાં આજથી ૧૭ ઑક્ટોબર દરમ્યાન સેવા સંકલ્પ અભિયાનની ઉજવણી કરવામાં આવશે. વડનગરથી સેવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ થશે જેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાશ શિંદે ઉપસ્થિત રહેશે અને મહાઆરતીમાં ભાગ લેશે.
આ અભિયાનના ભાગરૂપે આજે નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં વિવિધ લોકકલ્યાણકારી અને ભક્તિસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાશ શિંદે, કેન્દ્રીય પ્રધાન અનુપ્રિયા પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તેઓ વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે આયોજિત મહાઆરતીમાં સહભાગી બનશે. આ કાર્યક્રમ દરમ્યાન અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ શર્મિષ્ઠા તળાવમાંથી કળશ ભરશે. જળ ભરેલો આ કળશ વડનગરથી વારાણસી જનારા બાઇકર્સના પ્રતિનિધિઓ પોતાની સાથે લઈ જશે. મહાઆરતી બાદ શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મહાદેવ મંદિર સુધી પદયાત્રા યોજાશે જેમાં નગરજનો પણ જોડાશે. હાટકેશ્વર મંદિરથી આશરે ૨૫૦ જેટલા બાઇકર્સની રૅલીને લીલી ઝંડી બતાવીને વડનગરથી વારાણસી માટે પ્રસ્થાન કરાવશે.
આજે નરેન્દ્ર મોદીના જન્મદિવસે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગુજરાતમાં ૧૮,૫૦૦થી વધુ સ્થળોએ સાંજે ૭ વાગ્યે ૮૮ લાખથી વધુ આશીર્વાદના દીવડાઓ પ્રગટાવવામાં આવશે.
બિહારના પાટનગર પટનામાં BJPના કાર્યકરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના એક દિવસ પહેલાં ગઈ કાલે તેમના ફોટોગ્રાફ પર ૭૬ કિલોગ્રામ દૂધનો અભિષેક કર્યો હતો. નરેન્દ્ર મોદીની આજે ૭૬મી વર્ષગાંઠ છે અને BJPએ આ પ્રસંગને ઊજવવા માટે દેશભરમાં સેવા સંકલ્પ અભિયાન શરૂ કર્યું છે.
પશ્ચિમ બંગાળના હાવડામાં ભગવાન ગણેશ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચા પીતા હોય અેવી થીમ ધરાવતા પંડાલના કારણે રાજકીય વિવાદ ઊભો થયો છે. ભગવાનની પ્રતિમા સાથે ભારતનો ભગવા રંગનો નકશો અને ‘હિન્દુ રાષ્ટ્ર’ લખવામાં આવ્યું છે અેથી વિપક્ષોએ તીખી પ્રતિક્રિયા આપી છે.
થીમ પાછળ હિન્દુ રાષ્ટ્ર લખનારા આયોજક ખોકન કાનરાએ જણાવ્યું હતું કે ‘આ મારી વ્યક્તિગત પૂજા છે અને દર વર્ષની જેમ થીમ મારા પોતાના વિચારો પર આધારિત છે. મારો હેતુ કોઈ પણ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી.’
આ મુદ્દે તૃણમૂલ કૉન્ગ્રેસે જણાવ્યું હતું કે તાજેતરમાં BJPમાં જોડાયેલા લોકો પાર્ટીને ખુશ કરવા માટે આ પ્રકારનાં નિતનવાં ગતકડાં અપનાવે છે.