07 December, 2019 10:39 AM IST | Jamnagar
ફાઈલ ફોટો
અરબી સમુદ્રમાં બે સિસ્ટમ સક્રિય થઈ હતી, જેમાં દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ છે અને વાવાઝોડાનું નામ પવન આપ્યું છે. પવન વાવાઝોડું ૬ કલાકે ૭ કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. જોકે પવન વાવાઝોડું સોમાલિયા તરફ આગળ વધી રહ્યું છે. જોકે પવન વાવાઝોડાના કારણે ગુજરાતને કોઈ અસર નહીં થાય, પરંતુ પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય છે, જેના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થશે અને વાદળછાયું વાતવરણ રહેશે.
કમોસમી વરસાદની અસર જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર જિલ્લામાં થશે. અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. જોકે વાદળછાયું વાતાવરણ અને ભેજના કારણે પણ પાકમાં જીવાત ઉત્પન થાય છે અને પાકને નુકસાન પહોંચાડે છે.
મહત્વપૂર્ણ છે કે અરબી સમુદ્રમાં ૭ મહિનામાં પાંચ વાવાઝોડાં સક્રિય થયાં છે. જોકે ગુજરાતનાં સારાં નસીબ કે એક પણ વાવાઝોડું ગુજરાતને હિટ કર્યું નથી. પરંતુ પાંચેપાંચ વાવાઝોડાના કારણે ગુજરાતમા કમોસમી વરસાદ થયો અને ખેડૂતોને નુકસાન થયું, ત્યારે હવામાન વિભાગના ડિરેક્ટર ડૉક્ટર જયંત સરકારે પણ જણાવ્યું હતું કે સતત અરબી સમુદ્રનું તાપમાન વધી રહ્યું છે. અત્યારે પણ અરબી સમુદ્રનું તાપમાન સામાન્ય કરતા બેથી ત્રણ ડિગ્રી ઊંચું છે અને જેના કારણે વાવાઝોડાં સક્રિય થઈ રહ્યાં છે. જોકે વાવાઝોડું બનવા માટે એક કારણ નહીં અને કારણો છે જેમાં તાપમાન ખૂબ મહત્ત્વનું છે.