અંબાજી ભાદરવી પૂનમના મેળામાં 16 લાખથી વધુ ભક્તો ઊમટ્યા

15 September, 2019 08:37 AM IST  |  પાલનપુર

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં 16 લાખથી વધુ ભક્તો ઊમટ્યા

અંબાજી

જગતજનની મા અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનું આજે સમાપન થશે. જિલ્લા પોલીસ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધજા ચડાવવામાં આવી છે. મેળાના છઠ્ઠા દિવસે એટલે કે શુક્રવારે રાજ્યના ખૂણે ખૂણેથી ૧૬.૩૪ લાખ ભક્તોએ મા અંબાનાં દર્શનનો લહાવો લીધો હતો. ૮ સપ્ટેમ્બરથી ૧૩ સપ્ટેમ્બર સુધીમાં ૩ લાખ ૧૦ હજાર ૫૭૬ ભાવિક ભક્તોએ પ્રસાદ લીધો છે, જ્યારે ૨૨ લાખ ૭૭ હજાર ૧૦૫ પ્રસાદીનાં પૅકેટ્‌સનું વિતરણ કરવામાં આવ્યું છે. મંદિરને ૬ દિવસ દરમ્યાન ૩ કરોડ ૬૭ લાખ ૩૬ હજાર ૭૭૨ની આવક થઈ છે અને ૧૨૩ ગ્રામ સોનું અર્પણ થયું છે.

ગુજરાતભરમાંથી પદયાત્રા કરીને આવતા વિવિધ સંઘોએ લાંબી-લાંબી ધજાઓ સાથે માતાજીના ધામમાં શીશ નમાવ્યું હતું. છઠ્ઠા દિવસે બપોર બાદ ત્રિશૂળિયા ઘાટ રોડ પર પદયાત્રીઓની સંખ્યા નહીંવત્ જોવા મળી હતી. અલબત્ત પૂનમિયા સંઘો ‘જય અંબે’ના જયઘોષ સાથે અંબાજી પહોંચી ગયા હતા.

આ પણ વાંચો : નરેન્દ્ર મોદીના 70મા જન્મદિને 7000 કિલોની 700 ફુટ લાંબી કેક બનાવાશે

કરોડો શ્રદ્ધાળુઓનાં દુઃખ હરનારી મા અંબાના સાંનિધ્યમાં લાખો પદયાત્રિકોએ દર્શન કર્યા બાદ વતનની વાટ પકડી છે. શુક્રવારે મેળાના છઠ્ઠા દિવસે બે લાખ માઇભક્તો પગપાળા અંબાજી પહોંચ્યા હતા. છઠ્ઠા દિવસે ૨૧ ગ્રામ સોનું મા અંબાને ચડાવાયું હતું. મા અંબાને મળેલી ભેટસોગાદ અને પ્રસાદની કુલ આવક પોણાચાર કરોડ રૂપિયા જેટલી નોંધાઈ છે. મેળાના ૬ દિવસ દરમ્યાન ૮.૩૪ લાખ મુસાફરો એસટીમાં બેસી રવાના થયા હતા. ૭ હજાર કરતાં વધુ ધજા ચડાવાઈ હતી, જ્યારે આરોગ્ય વિભાગે ૨.૯૨ લાખ દરદીઓની સારવાર કરી હતી.

gujarat