22 August, 2019 07:25 PM IST | Somnath
સોમનાથ મહાદેવ મંદિર (PC : Somnath.org)
Somnath : ભારતનું પહેલું જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિરમાં 1500 થી વધુ કળશને હવે સુવર્ણ જડિત કરવામાં આવશે. મંદિરના વિવિધ ભાગો સોને મઢાયા બાદ હવે વધુ એક ભાગ સુવર્ણ જડીત બનશે. સોમનાથ મહાદેવ મંદિરનો હાલ સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. તો બીજી તરફ 140 કિલો સોના સહિત રોકડનું દાન મળ્યું છે.
કળશને મઢવા માટે 21 હજારથી સવા લાખ રૂપિયા સુધી દાન આપ્યું
સોમનાથ મંદિરના ટ્રસ્ટી અને સેક્રેટરી પી. કે. લહેરીએ કહ્યું હતું કે મંદિરના કળશને હવે સોનાથી મઢવાનું કામ બહુ ટુંક સમયમાં શરૂ થવાનું છે. એક વર્ષમાં તમામ કળશને સોનાથી મઢવાની કામગીરી પુર્ણ થાય તેવો અંદાજ છે. સોમનાથ મંદિરના ઘુમ્મટ પર 1500 કળશ છે. આ 1500 કળશને સોનેથી મઢવા માટેનાં આયોજનમાં આગામી દિવસોમાં દાતાઓ માટેનું આયોજન કરાશે. સોમનાથ મંદિર પરના 1500 જેટલા કળશને સુવર્ણ મઢીત કરવા માટે જે સોનાની જરૂર હતી. તેમાં સોનું અલગ અલગ દાતાઓ દ્વારા દાનમાં રોકડ રૂપે મળ્યું છે. દાતાઓએ 21 હજારથી સવા લાખ રૂપિયા સુધી એક એક કળશને મઢવા માટે દાન આપ્યું છે. અત્યાર સુધીમાં સોમનાથ મંદિર પાસે અંદાજે 140 કિલો સોનું દાનમાં આવ્યું છે.
આ પણ જુઓ : શ્રાવણના પહેલા સોમવારે કરો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન
હાલ, મંદિરમાં 2200થી 2500 યાત્રિકો માટે રહેવા અને જમવાની સુવિધા
મુંબઇના લખી પરિવારે ભુતકાળમાં 110 કિલો સોનું સોમનાથ મહાદેવને દાન આપ્યું. જેમાંથી મંદિરનાં ગર્ભગૃહ, ત્રિશુલ, ડમરું, નાગ દંશ, પિલરો દરવાજા સહિત અનેક ભાગો સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે. ત્યારે મંદિરનો વધુ એક ભાગ હવે સુવર્ણ જડિત થવા જઇ રહ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2200થી 2500 યાત્રિકો માટે રહેવા અને જમવાની સુવિધા આપી રહ્યું છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે.