19 January, 2020 10:40 AM IST | Mumbai Desk
મોડાસામાં થયેલ યુવતીના અપમૃત્યુ કેસમાં પોલીસ તંત્ર હવે ઍક્શનમાં આવી ગયું હોય એવું લાગી રહ્યું છે. શહેર ડીજીપી શિવાનંદ ઝાએ મોડાસાના પીઆઇ એન.કે. રબારીને સસ્પેન્ડ કર્યા છે. એન.કે. રબારીની ગંભીર બેદરકારી જણાઈ આવતાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
મોડાસા પોલીસે ગુનો નોંધવામાં વિલંબ કર્યો હોવાની ફરિયાદોને ગંભીરતાથી લઈને ડીજીપી શિવાનંદ ઝાએ એન.કે. રબારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો પરિવારને તાકીદે ન્યાય મળે એ માટે સિનિયર અધિકારીઓની એસઆઇટી બનાવાઈ છે જે યુવતીના મોતને લગતી અને પોલીસની બેદરકારી બન્ને બાબતોની તપાસ કરશે. સીઆઇડી ક્રાઇમના ડીઆઇજી ગૌતમ પરમારના નેતૃત્વમાં એસપી વીરેન્દ્ર યાદવ, ડીવાયએસપી અશ્વિન પટેલનો એસઆઇટીમાં સમાવેશ કરાયો છે.
દલિત સમાજના ડેલિગેશને રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમને મળીને રજૂઆત કરી હતી. ૭ દિવસની અંદર માગણી સંતોષવાનું અલ્ટિમેટમ આપ્યું છે. જો તમામ માગણીઓ ૭ દિવસની અંદર સંતોષવામાં ન આવે તો આવનારા દિવસોમાં દરેક જિલ્લામાં મહાસંમેલનો યોજી સરકારનો વિરોધ કરવાનું જણાવ્યું છે.