07 August, 2021 04:46 PM IST | Navsari | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
ગુજરાતના નવસારીમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી હોવાની બાતમી પ્રકાશમાં આવી છે. અહીં કેટલાક અસામાજિક તત્વોએ નવસારી નજીક રેલવે ટ્રેક પર લોખંડની એંગલો મૂકીને ટ્રેન ઉથલાવવાનું કાવતરું ઘડ્યું હતું, પરંતુ અહીંથી પસાર થતી માલગાડીના ડ્રાઈવરની સામે સૂચકતાને આ કાવતરું નિષ્ફળ નિવડ્યું હતું. માલગાડીના ડ્રાઈવરની નજર રેલવે ટ્રેક પરના આ લોખંડનો એંગલ પર પડી હતી, જેના કારણે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. નોંધનીય છે કે ટૂંક જ સમયમાં મેમુ ટ્રેન અહીં ટ્રેક પરથી પસાર થવાની હતી.
નવસારી અને ગાંધી સ્મૃતિ સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર આ ઘટના બની હતી. દરમિયાન, સાઈડ ટ્રેક પરથી પસાર થતી માલગાડીના ડ્રાઈવરની એંગલ પર નજર ત્યાં પડતાં જ માલગાડીનો ડ્રાઈવર તરત જ ત્યાં ગયો હતો અને લોખંડના એંગલો વિશેની માહિતી ગાર્ડ મારફતે સ્ટેશન પર મોકલી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સમયે મેમુ ટ્રેન પણ આ પાટા પરથી પસાર થવાની હતી. આવી સ્થિતિમાં મેમુ ટ્રેનને રોકી દેવામાં આવી હતી. એંગલ દૂર કરાયા બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી.
આમ ડ્રાઈવરની સમજદારીના કારણે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. વલસાડ રેલવે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.